કોરોનાનાં દર્દીઓની સંખ્યા ઘટી; 80% ICU-પથારીઓ ખાલી

મુંબઈઃ શહેરમાં કોરોનાવાઈરસનો ચેપ લાગુ પડતાં ગંભીર રીતે બીમાર થઈ ગયેલાં દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. એને પગલે શહેરની કોવિડ-19 નિર્ધારિત હોસ્પિટલોના ઈન્ટેન્સિવ કેર યુનિટ્સ (ICU)માં 80 ટકા જેટલી વેન્ટિલેટર પથારીઓ ખાલી પડી છે. ડોક્ટરોનું કહેવું છે કે જમ્બો કોવિડ સેન્ટરોમાં જુદી જુદી ગંભીર બીમારીથી ગ્રસ્ત થયેલા હજી 236 દર્દીઓ છે, જેમને વેન્ટિલેટર અને આઈસીયૂ સેવાઓની આવશ્યક્તા છે.

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, શહેરમાં કોરોના દર્દીઓની સારવાર માટે ખાસ તૈયાર કરાયેલી મ્યુનિસિપલ અને ખાનગી હોસ્પિટલોમાં ગઈ 14 જાન્યુઆરીએ ગંભીર બીમારી માટે સારવાર લેતા દર્દીઓની સંખ્યા 14,499 હતી. તે આંકડો 13 ફેબ્રુઆરીએ ઘટીને 235 થયો છે.