બંગાળ, ઉ.પ્ર.માંથી આવતા પ્રવાસીઓ પર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાંથી આવનાર પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકતો આદેશ બહાર પાડ્યો છે. કોરોનાવાઈરસ રોગચાળાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે મહારાષ્ટ્ર સરકારે ઉક્ત પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ રાજ્યોને સંવેદનશીલ ઘોષિત કર્યા છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે કોવિડની પરિસ્થિતિ જ્યાં સુધી આપત્તિ સમાન રહેશે ત્યાં સુધી મહારાષ્ટ્રમાં આ આદેશ લાગુ રહેશે.

આદેશમાં જણાવાયું છે કે બંગાળ અને ઉ.પ્ર.માંથી આવનાર પ્રવાસીઓએ એમનો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ લાવવાનો રહેશે અને તે 48 કલાકથી વધારે જૂનો હોવો ન જોઈએ. સાથોસાથ, એવા પ્રવાસીઓએ 15 દિવસ હોમ ક્વોરન્ટીન સ્થિતિમાં રહેવું પડશે. મહારાષ્ટ્ર સરકાર કોરોના-ફેલાવા માટે સંવેદનશીલ રાજ્યોની યાદીમાં આ પહેલાં ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, ગોવા અને કેરળને સામેલ કરી ચૂકી છે. હવે એમાં બંગાળ અને ઉ.પ્ર.નો ઉમેરો કર્યો છે.