મુંબઈ:ભારત પર ૮૦૦ કરતાં પણ વધારે વર્ષોનાં પરકીય શાસન છતાં ભારતનું અસ્તિત્વ ટકી રહ્યું છે. હવે ૨૦૪૭માં સાંસ્કૃતિક અખંડ ભારત સાકાર કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આ મુજબનો પડકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે શ્રોતાઓ સમક્ષ મૂક્યો હતો.
સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત ‘સંઘ યાત્રાના ૧૦૦ વર્ષો : નવી ક્ષિતિજ’ નામના બે દિવસીય કાર્યક્રમમાં તેમણે મુંબઈના ૯૦૦થી વધુ મહાનુભાવો સાથે સંવાદ સાધ્યો. નહેરુ સેન્ટર, વર્લી ખાતે કાર્યક્રમના બીજા દિવસે યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ડૉ. મોહનજી ભાગવતે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, સામાજિક તથા સાંસ્કૃતિક વિષયો પર પૂછાયેલા વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા. આ પ્રસંગે મંચ પર પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયા, કોકણ પ્રાંત સંઘચાલક અર્જુન ચાંદેકર અને મુંબઈ મહાનગર સંઘચાલક સુરેશ ભગેરિયા ઉપસ્થિત હતા.
ઉપસ્થિતોએ પૂછેલા કુલ ૧૪૩ પ્રશ્નોને ૧૪ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. સંઘની નીતિ, હિંદુત્વ, રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય, શિક્ષણ, અર્થતંત્ર, રાજકારણ, વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા, સંસ્કૃતિ, કલા, ક્રીડા, ભાષા, જીવનશૈલી, પર્યાવરણ વગેરે વિષયોના પ્રશ્નો પર સરસંઘચાલકે સચોટ ઉત્તરો આપ્યા.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર અંગે બોલતાં સરસંઘચાલકે ત્યાંના સવા કરોડ હિંદુઓને સંગઠિત થવા આહ્વાન કર્યું. એવું બનશે તો અત્યાચાર આપમેળે અટકશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નહીં પરંતુ હિંદુ જ સંઘનો સરસંઘચાલક બને છે, એમ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે સરસંઘચાલક બનવા માટે જાતિ એ કોઈ માપદંડ નથી. જે કામ કરે એ કોઈ પણ સ્વયંસેવક પોતાની ક્ષમતાના આધારે સરસંઘચાલક બની શકે. ભવિષ્યમાં અનુસૂચિત જાતિ કે જનજાતિના કાર્યકર્તા પણ સરસંઘચાલક બની શકે છે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
સમાજમાં પ્રચલિત ઊંચ-નીચ નાં ભેદભાવના કારણે જેમની સાથે પેઢી દર પેઢી અન્યાય કે અત્યાચાર થયો છે તેઓનો સર્વાંગી વિકાસ ન થાય ત્યાં સુધી સંવિધાન પ્રદત્ત આરક્ષણ ચાલુ રહેવું જોઈએ — એવી સંઘની સ્પષ્ટ ભૂમિકા તેમણે સ્પષ્ટ કરી.
સંઘના સ્વયંસેવકોએ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનો અને પ્રયાસોમાં ભાગ લેવો જોઈએ, પરંતુ માત્ર કાયદા બનાવી ભ્રષ્ટાચાર નાબૂદ થતો નથી; તેના માટે સંસ્કારયુક્ત સમાજનું મન ઘડવું પણ એટલું જ જરૂરી છે. કોઈ પણ વ્યવસ્થા મૂળભૂત રીતે ભ્રષ્ટ નથી; તેમાં કામ કરનાર વ્યક્તિનું મન ભ્રષ્ટ બને ત્યારે જ વ્યવસ્થા ભ્રષ્ટ બને છે — એ બાબત તરફ પણ તેમણે ધ્યાન દોર્યું.
બળજબરી કે લાલચ આપી થતું ધર્માંતરણ નિંદનીય છે અને તેનો જવાબ ‘ઘરવાપસી’ હશે, એમ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ કે સ્વપ્રેરણાથી ધર્માંતરણ કરે તો તેનો વિરોધ નથી. વસ્તીનું પ્રમાણ ફક્ત જન્મદર ઘટાડાથી નહીં, પરંતુ ધર્માંતરણ અને ગેરકાયદેસર ઘુસણખોરીથી પણ બદલાય છે અને ગેરકાયદેસર ઘુસણખોરી બાબતે ‘ડિટેક્ટ એન્ડ ડિપોર્ટ ’ની નીતિ કડક રીતે અમલમાં લાવવાની જરૂર છે. વિદેશી ગેરકાયદે ઘુસણખોરોને રોજગાર આપવાને બદલે આપણા દેશના હિંદુ કે મુસ્લિમોને કેમ ન આપવો? એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો.
હિંદુ અને શીખ અગાઉથી એક જ હતા અને આજે પણ રોટી-બેટીનો વ્યવહાર છે અને લોહીના સંબંધો છે. પૂજાપદ્ધતિ અલગ હોઈ શકે, તેમની વિશેષતાને માન્યતા આપવી જોઈએ, પરંતુ તેઓ અલગ નથી. આપણે બધા એક જ પરંપરામાંથી આવ્યા છીએ. ગુરુ ગ્રંથ સાહેબમાં ફક્ત શીખ ગુરુઓની નહીં, પરંતુ સમગ્ર ભારતના સંતોની વાણી સંકલિત છે. શીખોનાં નવમ ગુરુ શ્રી ગુરૂ તેગ બહાદુર જી કે જેઓ ‘હિન્દની ચાદર’ તરીકે ઓળખાતા તેમણે પોતાનું બલિદાન કાશ્મીરી પંડિતોની રક્ષા માટે આપ્યું હતું એ ભૂલવું ન જોઈએ. સમાજ તરીકે આપણે બધા એક છીએ, એ યાદ રાખવું જોઈએ. હિંદુ નામે અલગ કોઈ ધર્મ નથી; આજે જેને હિંદુ ધર્મ કહે છે, તે જ પ્રાચીન સનાતન ધર્મ છે. તથાગત બુદ્ધે પોતાના પ્રવચનો દ્વારા સનાતન ધર્મમાં સમયસુસંગત સુધારા કર્યા અને આધુનિક કાળમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેનો પુનરોચ્ચાર કર્યો, એમ તેમણે જણાવ્યું.
આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, ફિલ્મ જગતનાઅભિનેતાઓ, ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, કાનૂની નિષ્ણાતો, ખેલાડીઓ, મીડિયા પ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓના સભ્યો, ધર્મગુરુઓ, લેખકો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને જાહેરાત ક્ષેત્રના વ્યાવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માટે સંઘે વ્યાપક સંપર્ક કર્યો હતો જેના ફળસ્વરૂપે આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા, સજ્જન જિંદલ, અજય પિરામલ, કુમાર મંગલમ બિરલા, અનન્યા બિરલા, એલ & ટી ના સીઇઓ એસ. સુબ્રમણ્યન, HDFC બેંકના સીઇઓ શશીધર જગદીશન, મોર્ગન સ્ટેનલીના રિધમ દેસાઇ, અભિનેતા અક્ષય કુમાર, વિકી કૌશલ, અનન્યા પાંડે, સંગીતકાર પ્રીતમ, હૃદયનાથ મંગેશકર, કરણ જોહર, રવિના ટંડન, શિલ્પા શેટ્ટી, સુબોધ ભાવે, મહેશ માંજરેકર, જેકી શ્રોફ, વિનીત કુમાર સિંઘ, રવિ દૂબે, રૂપાલી ગાંગુલી, અક્ષય વિધાની સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં.




