સંસદ ચાલશે કે થશે હંગામો?: રાહુલ ગાંધીએ કહ્યું, એક સમજૂતી થઈ

નવી દિલ્હીઃ સંસદમાં ચર્ચા અને તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતા છે. વિપક્ષી પક્ષો લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. સ્પીકર વિરુદ્ધ નોટિસ ક્યારે આપવી તે અંગે આજે નિર્ણય લેવામાં આવશે. ભાજપની મહિલા સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને વિનંતી કરી છે કે સસંદમાં અયોગ્ય અને શરમજનક વર્તન કરનાર વિપક્ષી સાંસદો સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આવાં કૃત્યો લોકતંત્રની સંસ્થાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે.

લોકસભાની કાર્યવાહી સતત અવરોધિત થઈ રહી છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ ચર્ચા અને વડા પ્રધાનના ભાષણ વગર જ હંગામા વચ્ચે ધ્વનિમતથી પસાર થયો. બજેટ પર ચર્ચા પણ હજી શરૂ થઈ શકી નથી. ચાલુ ગતિવિધિઓમાં અવરોધ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ પરિસ્થિતિ સુધારવા માટે તમામ પક્ષોના ફ્લોર લીડરોની બેઠક બોલાવી હતી. આ બેઠક પછી સંકેત મળ્યા છે કે 10 ફેબ્રુઆરીએ સદનની કાર્યવાહી સુચારુ રીતે ચાલી શકે છે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંકેત આપ્યો કે સંસદ ચાલી શકે છે. તેમણે જણાવ્યું હતું કે 10 ફેબ્રુઆરીએ કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે અંગે હાલ સહમતી બની છે. એક સમજૂતી થઈ છે અને અમને સંસદમાં જે બોલવું છે તે બોલવાની મંજૂરી મળશે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે સ્પીકર સાથેની બેઠકમાં અમે કેટલાક મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા. પ્રથમ, મને બોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી. બીજું, અમારા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્રીજું, ભાજપના એક સભ્યે સતત બોલવાનું ચાલુ રાખ્યું અને એક પુસ્તકમાંથી ઉલ્લેખ પણ કર્યો, છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નહોતી.

વડા પ્રધાનમંત્રી સત્યનો સામનો કરી શકતા નથી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ સોમવારે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં આવવાથી ડરે છે, કારણ કે તેઓ તે સત્યનો સામનો કરી શકતા નથી, જેને તેઓ પૂર્વ સેનાપ્રમુખ એમ. એમ. નરવણેની પુસ્તકના એક અંશના ઉલ્લેખ દ્વારા રજૂ કરવા માગતા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે વડા પ્રધાન પર કોઈ વિપક્ષી સભ્ય દ્વારા હુમલો કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જો કોઈ આવી હરકત કરે તો તેની સામે FIR નોંધાવીને તરત જ ધરપકડ કરવી જોઈએ.