ભારતીય સિનેમાના ઇતિહાસમાં 1982માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વિધાતા’ એક સીમાચિહ્ન સમાન ગણાય છે. સુભાષ ઘાઈ
માટે આ ફિલ્મ માત્ર એક વ્યાવસાયિક સફળતા નહોતી પરંતુ દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાની એક અગ્નિપરીક્ષા હતી. આ ફિલ્મની કાસ્ટિંગ પ્રક્રિયા એટલી રસપ્રદ છે કે તેના પરથી જ એક આખી ફિલ્મ બની શકે.
સુભાષ ઘાઈએ વિવિધ ઇન્ટરવ્યુમાં જણાવ્યા મુજબ ફિલ્મની શરૂઆત બિલકુલ અલગ રીતે થઈ હતી. નિર્માતા ગુલશન રાયે 1980 માં જ્યારે આ પ્રોજેક્ટ વિચાર્યો ત્યારે તેમના મનમાં દિલીપકુમાર અને અમિતાભ બચ્ચનની જોડી હતી. તે સમયે અમિતાભ બચ્ચન સ્ટારડમના શિખર પર હતા અને દિલીપકુમાર લાંબા વિરામ બાદ ફરી સક્રિય થયા હતા. જોકે, અમિતાભ બચ્ચન પાસે તારીખો ન હોવાને કારણે અને અમજદ ખાન પણ આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જતાં ફિલ્મની આખી કાસ્ટિંગની જવાબદારી સુભાષ ઘાઈના ખભે આવી પડી હતી.
ઘાઈ માટે સૌથી મોટો પડકાર દિલીપકુમારને નિર્દેશિત કરવાનો હતો. ઘાઈએ એક રમુજી કિસ્સો શેર કર્યો હતો કે જ્યારે તેઓ દિલીપકુમારને મળવા ગયા ત્યારે મનોજકુમારે તેમને ચેતવણી આપી હતી કે દિલીપકુમાર એવા કલાકાર છે જે તમારી આવડતની પહેલા પરખ કરશે. અને દિલીપકુમારે ઘાઈને પૂછ્યું હતું કે તેમણે અગાઉ કઈ ફિલ્મો બનાવી છે. જ્યારે ઘાઈએ ‘કાલીચરણ’ અને ‘વિશ્વનાથ’ જેવી હિટ ફિલ્મોના નામ આપ્યા ત્યારે દિલીપકુમારે તે ફિલ્મો જોયા બાદ જ આ પ્રોજેક્ટ માટે લીલી ઝંડી આપી હતી.

ગોવાના શૂટિંગ દરમિયાન જ્યારે પ્રોડક્શનની ગાડી એરપોર્ટ પર ન પહોંચી ત્યારે દિલીપકુમાર ટેક્સી કરીને સેટ પર આવી ગયા હતા. જે તેમની શિસ્ત અને નમ્રતાનો પુરાવો હતો. ફિલ્મમાં સંજય દત્તનું કાસ્ટિંગ પણ એક અકસ્માત જેવું હતું. નિર્માતા ગુલશન રાય જ્યારે સુનીલ દત્તના ઘરે ગયા ત્યારે તેમણે યુવાન સંજય દત્તને જોયો અને નક્કી કર્યું કે આ છોકરો દિલીપકુમારના પૌત્ર તરીકે યોગ્ય લાગશે. ‘વિધાતા’ની કાસ્ટિંગની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં દિલીપકુમાર, સંજીવકુમાર અને શમ્મી કપૂર જેવા ત્રણ મહાન કલાકારો એકસાથે આવ્યા હતા.
સંજીવકુમાર વિશે વાત કરતા સુભાષ ઘાઈએ જણાવ્યું છે કે તે હંમેશા પૂછતા કે ‘દિલીપકુમારની સામે હું ક્યાંક દબાઈ તો નહીં જાઉં ને?’ હકીકતમાં સંજીવકુમાર દિલીપકુમારના પ્રશંસક હોવા છતાં તેમની સાથે સ્પર્ધા કરવામાં થોડા અચકાતા હતા. ઘાઈએ તેમને સમજાવ્યા હતા કે ફિલ્મમાં તેમનું પાત્ર એકદમ અલગ અને મજબૂત છે. શૂટિંગ દરમિયાન જ્યારે આ બંને દિગ્ગજો સામસામે આવતા ત્યારે આખો સેટ શાંત થઈ જતો. શમ્મી કપૂર માટે પણ આ ફિલ્મ ખાસ હતી. તેમને આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
દિલીપકુમાર પોતે શમ્મી કપૂરના રોલ માટે ખૂબ જ આગ્રહી હતા અને ઘાઈને કહેતા કે શમ્મીના સીન્સ ખૂબ જ પ્રભાવશાળી હોવા જોઈએ. હીરોઈનની શોધ પણ કંઈ ઓછી રસપ્રદ નહોતી. ઘાઈ પહેલા રતિ અગ્નિહોત્રીને લેવા માંગતા હતા પરંતુ નિર્માતા ગુલશન રાયે તેમના વિશે નકારાત્મક વાતો સાંભળી હોવાથી ના પાડી દીધી હતી. અંતે પદ્મિની કોલ્હાપુરેની પસંદગી થઈ હતી. પદ્મિની તે વર્ષે ત્રણ મોટા સુપરસ્ટાર્સ (દિલીપકુમાર, દેવ આનંદ અને રાજ કપૂર) સાથે કામ કરી રહી હતી. તેની એનર્જી અને ડાન્સિંગ સ્કીલ્સે ‘સાત સહેલિયાં’ ગીતને અમર બનાવી દીધું.

જેકી શ્રોફની વાત કરીએ તો તેઓ આ ફિલ્મમાં એક નાનો રોલ લેવા આવ્યા હતા પરંતુ સુભાષ ઘાઈએ તેમનો ચહેરો જોઈને જ કહી દીધું હતું કે ‘તું અત્યારે નાનો રોલ ન કર, હું તને મોટી ફિલ્મમાં લોન્ચ કરીશ.’ અને આ રીતે ‘વિધાતા’ના સેટ પરથી જ ‘હીરો’ ફિલ્મનો પાયો નખાયો હતો. ફિલ્મના વિલન અમરીશ પુરી માટે પણ ‘વિધાતા’ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. ‘જગાવર ચૌધરી’ના પાત્રમાં તેમની ગર્જના અને દેખાવે તેમને બોલીવુડના સૌથી ખતરનાક વિલન બનાવી દીધા હતા. મજાની વાત એ હતી કે અમરીશ પુરીના મોટાભાઈ મદનપુરી આ ફિલ્મમાં હતા પરંતુ તેઓ અમરીશ પુરીના હાથ નીચે કામ કરતા એક ગૌણ પાત્રમાં હતા.
સુભાષ ઘાઈએ દરેક કલાકારના વ્યક્તિત્વનો ઉપયોગ કરીને આ ફિલ્મને એક કલ્ટ ક્લાસિક બનાવી હતી. ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી અને ૧૯૮૨ની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ હતી. સુભાષ ઘાઈને ‘વિધાતા’એ શીખવ્યું કે જ્યારે તમારી પાસે દિગ્ગજ કલાકારો હોય ત્યારે તમારે માત્ર દિગ્દર્શક તરીકે નહીં પરંતુ એક કુશળ મેનેજર તરીકે પણ કામ કરવું પડે છે. આ ફિલ્મની કાસ્ટિંગની વાતો આજે પણ નવોદિત ફિલ્મમેકર્સ માટે એક પાઠ સમાન છે. કેવી રીતે યોગ્ય પાત્ર માટે યોગ્ય કલાકારની પસંદગી કરવી અને તેમનું સંચાલન કરવું કે ફિલ્મને ઈતિહાસમાં અમર બનાવી શકે.




