બાલ્યાવસ્થામાં એક ફિલ્મ જોયેલીઃ ‘ઈનકાર.’ વિનોદ ખન્ના-અમજદ ખાનવાળી ફિલ્મમાં 7-8 વર્ષની વયના એક
બાળકનું અપહરણ થાય છે, એને કિડનેપર્સની ચુંગાલમાંથી છોડાવવાની મથામણ થાય છે. આમાં એક કેરેક્ટર છેઃ મનમોહન. એ હતા ભરત કપૂર. જે સહજતાથી એમણે કિડનેપર (અમજદ ખાન)ના થોડા ગાફેલ એવા મળતિયાનું પાત્ર ભજવેલું એ જોઈને આફરીન પોકારી જવાય.
સોમવાર, 27 એપ્રિલેની બપોર 80 વર્ષી અભિનેતા ભરત કપૂરના નિધનના સમાચાર લાવી ત્યારે કલાજગતમાં શોક છવાઈ જવો સ્વાભાવિક હતોઃ ભારતીય સિનેમાના આકાશનો વધુ એક તેજસ્વી સિતારો ખરી પડ્યો. અલબત્ત, છેલ્લાં થોડાં વર્ષથી એ ખાસ સક્રિય નહોતા, પણ એ એક લેગસી જરૂર મૂકતા ગયા.
૧૫ ઑક્ટોબર, ૧૯૪૫ના રોજ લાહોરની ધરતી પર જન્મ. તે વખતે કોઈને અંદેશો સુધ્ધાં નહોતો કે આ બાલક આગળ જતાં મુંબઈની માયાનગરીમાં વિલન તરીકે પોતાની ધાક જમાવશે. પિતા ઈશ્વરચંદ્ર કપૂર પોતે ગીતકાર હતા એટલે કલા તો લોહીમાં જ હતી. ૩ મહિનાની ઉંમરે માતા કૌશલ્યા દેવી સાથે મુંબઈ આવ્યા બાદ બાળપણ મુંબઈની ગલીઓમાં પાંગર્યું.
શાળાશિક્ષણ બાદ ભરતજીએ મુંબઈની સાબુ સિદ્દીક કૉલેજમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી તો લીધી, પણ કુદરતની કંઈ અલગ જ સ્કિમ હતી. એન્જિનિયરિંગ કૉલેજમાં એમના પ્રોફેસર હતા નાટક-સિનેમાના દિગ્ગજ લેખક-અભિનેતા કાદર ખાન! કાદર ખાને જ ભરત કપૂરને ‘ઈપ્ટા’ (ઈન્ડિયન પીપલ્સ થિએટર)ના મંચ પર લાવી દીધા. ‘ઈપ્ટા’ સાથે જોડાઈને એમણે હિંદી રંગભૂમિ પર નામના મેળવી.

1970ના દાયકાના આરંભમાં એક દિવસ ભરતજીનું ‘તન્હાઈ’ નામનું નાટક જોવા આવ્યા હોય છે દિગ્દર્શક ચેતન આનંદ. ભરત કપૂરનો અભિનય જોઈને એ મંત્રમુગ્ધ થઈ ગયા. એ જ ક્ષણે એમણે ભરતજીને બે ફિલ્મ ઑફર કરીઃ વૉર ડ્રામા ‘હિન્દુસ્તાન કી કસમ’ (જેમાં એ પાકિસ્તાની મિલિટરી અફ્સર ઉસ્માન બનેલા) અને રોમાન્ટિક ડ્રામા ‘હસતે જખ્મ’.
ચેતન આનંદ જેવા મોટા ફિલ્મકારની ઓફર કોણ ઠુકરાવે? ભરતજીએ તુરંત સ્વીકારી લીધી. આમ પણ એ રંગભૂમિ સાથે જોડાયા જ એટલા માટે હતા કે ફિલ્મોમાં કામ મળે. ચેતન આનંદે એમને પૂછ્યું કે ‘તું હીરો-બીરો બનવાનાં સપનાં તો નથી જોતોને?’ ત્યારે ભરતજીએ સ્પષ્ટ કહ્યું હતું કે મારે તો એક્ટિંગ કરવી છે. પાત્ર સારું હોવું જોઈએ, પછી એ નેગેટિવ હોય કે પોઝિટિવ!
એમ તો ૧૯૭૪માં ‘ગુપ્ત જ્ઞાન’ જેવી હિટ ફિલ્મમાં સેક્સોલોજિસ્ટ તરીકે હીરોની ભૂમિકા ભજવ્યા બાદ ‘ક્ષિતિજ’ નામની ફિલ્મમાં પણ એ હીરો હતા, પણ વિધાતાએ તેમના માટે વિલનગીરી જ નક્કી કરી હતી.
-અને ૧૯૭૯માં યશ ચોપરાની ‘નૂરી’ રિલીઝ થાય છે, અનપેક્ષિત સુપરહિટ થાય છે. લો-બજેટની ‘નૂરી’ની સફળતામાં ખય્યામનના સંગીત ઉપરાંત ભરત કપૂરનો ફાળો નાનોસૂનો નહોતો. ફારુક શેખ-પૂનમ ધિલ્લોંને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મમાં ભરતજીએ ભજવેલું બશીર ખાનનું પાત્ર એટલું ડરામણું અને જીવંત હતું કે એ હિંદી સિનેમાના આઈકનિક વિલન બની ગયા. ૨૦૦થી વધુ ફિલ્મોમાં એમની આંખોનો કિલર અંદાજ અને પડછંદ વ્યક્તિત્વ પ્રેક્ષકોનાં દિલ ધડકાવી દેતા. સાગર સરહદીની ‘બઝાર’થી લઈને ‘લવસ્ટોરી,’ ‘નાખુદા,’ ‘ગુલામી,’ ‘આખરી રાસ્તા,’ ‘ખુદા ગવાહ,’ વગેરેમાં એ પોતાના સશક્ત અભિનય અને ઘેઘૂર અવાજથી છવાઈ જતા.

ફિલ્મ ઉપરાંત ભરત કપૂરે દૂરદર્શનથી લઈને પ્રાઈવેટ ચૅનલ્સ સુધી ૪૦ જેટલી ટીવીસિરિયલ્સમાં કામ કર્યું, પણ ડેઈલી સોપથી એ વિરક્ત રહ્યા. એ માનતા કે દૈનિક ધારાવાહિકમાં વાર્તાના નામે કંઈ હોતું નથી. એકના એક રેઢિયાળ પ્લોટ કે વિષયવસ્તુને જુદી જુદી રીતે રજૂ કરવામાં આવે છે. બહુ ઓછી ટીવીસિરીઝ એમણે કરી, જેમ કે ‘તારા’, ‘કેમ્પસ,’ ‘પરંપરા’, ‘સાઁસ’, ‘અમાનત,’ વગેરે.
અંગત જીવન જોઈએ તો ભરત કપૂરનાં 1970માં લોપા કપૂર સાથે લગ્ન થયાં, જેનાથી એમને બે દીકરા સાગર અને રાહુલ અને, દીકરી કવિતા છે. રાહુલ પણ જાણીતા ડિરેક્ટર છે, જ્યારે સાગર ઍડફિલ્મ બનાવતી એજન્સીમાં જૉબ કરે છે. એ રીતે એમનો ઘરસંસાર સુખી રહ્યો. સફળ અભિનેતાની સાથે એ શ્રેષ્ઠ પતિ, પિતા, દાદા-નાનાની ફરજ નિભાવીને વિદાય થયા.
ભરત કપૂરનાં પરદા પરનાં પાત્રો અને કલા પ્રત્યે એમની નિષ્ઠા આવનારી પેઢીઓ માટે હંમેશા દીવાદાંડી સમાન રહેશે.




