ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર કમોસમી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં સામાન્યથી મધ્યમ માવઠાની આગાહી કરાઈ છે.

હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય બનવાના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તર- પશ્વિમના પવનોની ગતિ વધુ રહેવાની સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ત્યારબાદ 19થી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. તાપમાનમાં મહત્તમ તાપમાન આગામી 48 કલાકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. લઘુત્તમ તાપમાન આગામી 3 દિવસમાં 2થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળી શકે છે.

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલી અને પોરબંદર ખાતે 15 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 19.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 19.4, ભાવનગરમાં 19, ભુજમાં 17.2, દમણમાં 19, ડીસામાં 17.3, દીવમાં 15.8, દ્વારકામાં 19, ગાંધીનગરમાં 18.5, કંડલામાં 18, નલિયામાં 15.5, ઓખામાં 19.8, પોરબંદરમાં 15, રાજકોટમાં 15.2, સુરતમાં 19.2 અને વેરાવળમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.