જામનગર: મહાનગરપાલિકા દ્વારા છેલ્લા અઢી મહિનાથી વિવિધ વિસ્તારોમાંથી દબાણ હટાવવાની ઝૂંબેશ ચાલી રહી હતી. જેના પગલે શહેરમાંથી 19.19 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલા 917 ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.છેલ્લા ત્રણ દિવસથી, જામનગર મહાનગરપાલિકાએ બચુનગર વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન ડ્રાઇવ શરૂ કરી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં 294 ગેરકાયદેસર બાંધકામોને ધરાશાયી કરવામાં આવ્યા. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય 7.74 લાખ ચોરસ ફૂટ જેટલી કિંમતી જમીન પરનો અંદાજે ₹200 કરોડનો કબજો હટાવવાનો છે.
રંગમતી અને નાગમતી નદી પહોળી અને ઉંડી કરવાથી આશરે 14 થી 15 એમ.સી.એફ.ટી. પાણી વધુ સંગ્રહ થશે અને શહેરમાં અતિક્રમિત થઈને ભરાતું પાણી બંધ થશે તેમ જામનગરના મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું. આ કાર્યમાં 200થી વધુ કર્મચારીઓ, ત્રણ ટીમોમાં વહેંચાઈને કાર્યરત હતા. 12 જે.સી.બી. મશીન, 3 હિટાચી મશીન અને 12થી વધુ ટ્રેક્ટર સહિતના વિશાળ કાફલા સાથે આ ડિમોલિશન શરૂ થયું હતું. આ વ્યાપક પ્રયાસ જામનગર મહાનગરપાલિકાની રંગમતી અને નાગમતી નદીઓને તેમના મૂળ પ્રવાહમાં પુનઃસ્થાપિત કરવાના મોટા અભિયાનનો એક ભાગ છે.
આ પ્રક્રિયામાં અતિક્રમિત વિસ્તારમાં આવેલી કેટલીક ધાર્મિક ઇમારતોને પણ દૂર કરવામાં આવી હતી. 11,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી એક ધાર્મિક ઇમારતમાં સ્વિમિંગ પૂલ, બાથટબ અને અન્ય આધુનિક સુવિધાઓ સહિતની વૈભવી સવલતો મળી આવી હતી. મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી આ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે, જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા સ્થળ પર વ્યક્તિગત રીતે હાજર છે. તેમને મદદ કરવા માટે આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, કંટ્રોલિંગ ઓફિસર મુકેશ વરણવા, પ્રોજેક્ટ અને પ્લાનિંગ વિભાગના રાજીવ જાની, તેમજ એસ્ટેટ વિભાગના ઉર્મિલ દેસાઈ, અનિલ ભટ્ટ, નીતિન દીક્ષિત અને 100થી વધુ અન્ય અધિકારીઓની ટીમ સામેલ છે.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને શહેર ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા સુરક્ષા વ્યવસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે. સિટી એ ડિવિઝન પી.આઈ. એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ, મહિલા અધિકારીઓ સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓને વિસ્તાર સુરક્ષિત રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક રહેવાસીઓની મોટી ભીડ કામગીરી જોવા માટે એકઠી થઈ હોવા છતાં, ડિમોલિશનનું કામ વિરોધ વિના આગળ વધ્યું હતું.
