LPG સિલિન્ડરની અછતઃ IRCTC ટ્રેનોમાં કેટરિંગ સેવા બંધ કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ દેશભરમાં LPG સિલિન્ડરની અછતને કારણે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની કેટરિંગ સેવાઓ પર અસર પડી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે થોડા સમય માટે ટ્રેનોમાં ભોજન આપવાની સેવા બંધ કરવાની વિચારણા કરી રહી છે અને જેમણે ટિકિટ સાથે ભોજન પ્રી-બુક કર્યું છે તેમને રિફંડ આપવામાં આવે એવી શક્યતા છે.

IRCTC એ પોતાના કેટરિંગ લાઇસન્સધારકોને સૂચના આપી છે કે મુસાફરોને ભોજનની સેવા સતત મળી રહે તે માટે ઇમરજન્સી યોજનાઓ અમલમાં મૂકે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે LPGની અછત IRCTC ના બેઝ કિચનને અસર કરી રહી છે, જ્યાં ટ્રેનો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે અને પછી તેને પેન્ટ્રી કારમાં મોકલવામાં આવે છે. જોકે પેન્ટ્રી કાર મુખ્યત્વે ભોજન વિતરણ અને ગરમ કરવાના એકમો છે અને તેમાં એલપીજી સિલિન્ડર રાખવામાં આવતા નથી, પરંતુ બેઝ કિચનમાં પડતી અડચણને કારણે લાંબા અંતરની ટ્રેનો માટે ભોજન તૈયાર કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.

10 માર્ચે લખાયેલા પત્રમાં IRCTC એ રેલવે સ્ટેશનો પર આવેલા ફૂડ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ અને જન આહાર આઉટલેટ્સને એલપીજીની અછતની સ્થિતિમાં ભોજન બનાવવાના વૈકલ્પિક ઉપાયો અપનાવવા સૂચના આપી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયામાં તાજેતરમાં થયેલા આંતરરાષ્ટ્રીય સંઘર્ષોને કારણે પ્રાદેશિક સ્થિરતા અને કોમર્શિયલ LPG સિલિન્ડરનો સપ્લાય પ્રભાવિત થયો છે, તેથી તમામ ફૂડ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ અને જન આહારમાં કેટરિંગ સેવાઓ અવરોધ વગર ચાલુ રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ પત્રમાં ઉમેરાયું છે કે  માનક ખાદ્ય વસ્તુઓ ઉપરાંત મુસાફરોની માગ પૂરી કરવા માટે તમારા યુનિટમાં રેડી-ટુ-ઈટ (RTE) ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો રાખવો જરૂરી રહેશે.

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે IRCTC પોતાના બેઝ કિચન અને ટ્રેનની અંદરની કેટરિંગ સેવાઓ મારફતે દેશભરમાં દરરોજ આશરે 17 લાખ ભોજન પૂરાં પાડે છે. IRCTC એ જણાવ્યું કે આ પગલાંનો હેતુ રેલવે સ્ટેશનો પર કેટરિંગ સેવાઓ ચાલુ રાખવાનો અને સપ્લાયમાં અવરોધ સર્જાય ત્યારે મુસાફરોને થતી અસુવિધા ઘટાડવાનો છે. કેટરિંગ કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે જો તેમના વિસ્તારમાં એલપીજી સપ્લાય પ્રભાવિત થાય અથવા બંધ થાય તો તરત અધિકારીઓને જાણ કરવી.