કુવૈતથી 45 ભારતીયોના મૃતદેહ કોચી એરપોર્ટ લવાયા

કોચી: 12મી જૂને કુવૈતમાં એક બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 લોકોની ઓળખ ભારતીય તરીકે કરવામાં આવી છે. કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. 48 મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી 45 ભારતીયો અને 3 ફિલિપાઈન્સના હોવાનું જાણવા મળ્યું હતું.

કુવૈતની બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય શ્રમિકો કામ કરી રહ્યા હતા. 45 મૃતકોમાંથી 2 ઉત્તર પ્રદેશના, 24 કેરળના, 7 તમિલનાડુના અને 3 આંધ્રપ્રદેશના છે. આજે ભારતીય વાયુસેનાનું એક વિશેષ C-130J વિમાન 45 ભારતીયોના મૃતદેહ લઈને કોચી પહોંચ્યું હતું. પાર્થિવ દેહ આવતાં જ પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યું હતું. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં કેટલાક પાર્થિવ દેહને ઉતાર્યા બાદ વિમાન સાંજે 4 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચશે. જ્યાંથી અન્ય પાર્થિવ દેહને તેમના સંબંધિત રાજ્યોમાં મોકલવામાં આવશે. મૃતકોમાં મોટાભાગના કેરળના હતા તેથી વિમાન સૌપ્રથમ કોચીમાં લેન્ડ થયું હતું. કેરળ સરકારે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.