જળ જીવન મિશન રૂ. 30,000 કરોડનું કૌભાંડઃ ભાજપની આબરૂના લીરેલીરા

ભોપાલઃ મધ્ય પ્રદેશમાંથી 30,000 કરોડ રૂપિયાનું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેને કારણે ભાજપની આબરૂના ધજાગરા થયા છે. રાજ્યમાં રાજકીય ગરમાટો આવ્યો છે. રાજ્યના મંત્રી સંપતિયા ઉડકે પર જળ જીવન મિશન માટે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી રકમમાં ગેરરીતિ કરવાનો આક્ષેપ છે. આ મુદ્દાને લઈને CM મોહન યાદવના આદેશ પર લોક આરોગ્ય યાંત્રિકી વિભાગ (PHE) દ્વારા મંત્રી સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વાસ્તવમાં, એન્જિનિયર-ઇન-ચીફ (ENC) સંજય અંધાવને મંત્રી સંપતિયા ઉડકે અને એક કાર્યપાલક એન્જિનિયર સામે ભ્રષ્ટાચારના આરોપમાં તપાસ કરવાના આદેશ આપ્યા છે. આરોપ છે કે જળ જીવન મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા મધ્ય પ્રદેશને આપવામાં આવેલી 30,000 કરોડ રૂપિયાની રકમમાં હેરાફેરી કરવામાં આવી અને મંત્રી માટે નાણાં એકઠા કરવામાં આવ્યાં.

7 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ
ENC સંજય અંધાવને PHE વિભાગના તમામ ઝોનના મુખ્ય એન્જિનિયરોને અને MP જળ નિગમ લિ. ભોપાલના પ્રોજેક્ટ ડિરેક્ટરને પત્ર મોકલ્યો છે. આ તમામ અધિકારીઓને સાત દિવસની અંદર વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. જોકે આ મામલે રાજ્યની મંત્રી સંપતિયા ઉડકે તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

આ તપાસ લાંજીના પૂર્વ ધારાસભ્ય અને સંયુક્ત ક્રાંતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોર સમરીતે દ્વારા 12 એપ્રિલે નોંધાવાયેલી ફરિયાદને આધારે શરૂ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે મંત્રીઓ, અધિકારીઓ અને ઠેકેદારોએ ભાગીદારીમાં ભાજપ શાસિત રાજ્યમાં ગ્રામીણ પરિવારોને નળથી પાણી જોડાણ આપવાના કેન્દ્રનાં નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

તેમની ફરિયાદમાં રાજ્યની જલ પુરવઠા માળખાગત યોજનાઓમાં અનેક અધિકારીઓ અને ઠેકેદારોની ભ્રષ્ટાચારભરી સંડોવણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ યોજનામાં ભારત સરકારને 3000થી વધુ નકલી કામ પૂર્ણતા અને ઉપયોગિતા પ્રમાણપત્રો મોકલવામાં આવ્યાં છે, જેને તાત્કાલિક જપ્ત કરવાં જોઈએ.