ભારત, રશિયા-ચીનનાં જહાજોને હોર્મુઝ જળમાર્ગે પસાર થવાની ઈરાનની મંજૂરી

નવી દિલ્હીઃ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત સહિત મિત્ર દેશોનાં જહાજોને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. મુંબઈ સ્થિત ઈરાનના દૂતાવાસે એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે અમે ચીન, રશિયા, ભારત, ઇરાક અને પાકિસ્તાન સહિત મિત્ર દેશોને હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપી છે.

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો રાખવા અપીલ કરી હતી. X પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે હોર્મુઝ જળમાર્ગ લાંબા સમય સુધી બંધ રહેતાં વૈશ્વિક વાવણીના મહત્વપૂર્ણ સીઝનમાં તેલ, ગેસ અને ખાતરની આવન-જાવન અસરગ્રસ્ત થઈ રહી છે. સમગ્ર પ્રદેશ અને તેની બહારના નાગરિકો ગંભીર નુકસાન ભોગવી રહ્યા છે અને ભારે અસુરક્ષાના વાતાવરણમાં જીવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર યુદ્ધનાં પરિણામોને ઓછા કરવા માટે કાર્ય કરી રહ્યું છે. આ પરિણામોને ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ સ્પષ્ટ છે — યુદ્ધ તાત્કાલિક સમાપ્ત કરવું.

આ પહેલાં 25 માર્ચે ન્યુ યોર્ક સ્થિત ઈરાની દૂતાવાસે જણાવ્યું હતું કે તેઓ હોર્મુઝ જળમાર્ગમાંથી તેવાં જહાજોને પસાર થવાની મંજૂરી આપશે, જેને તેઓ “અશત્રુતાપૂર્ણ જહાજ” ગણાવે છે. મિશને X પરની પોસ્ટમાં જાહેરાત કરી હતી કે જે દેશો ઈરાન સામે આક્રમકતા દાખવતા નથી અને જાહેર કરાયેલા સુરક્ષા નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે, તે દેશો સાથે સંબંધિત અથવા જોડાયેલાં જહાજોને સક્ષમ ઈરાની સત્તાધિકારીઓ સાથે સંકલન બાદ હોર્મુઝ જળમાર્ગમાંથી સુરક્ષિત માર્ગ મળી શકે છે.

ઈરાની સુરક્ષા પરિષદે પણ જાહેરાત કરી છે કે વ્યૂહાત્મક હોર્મુઝ જળમાર્ગમાંથી અશત્રુતાપૂર્ણ જહાજોની અવરજવર હવે સંપૂર્ણપણે ઈરાની સત્તાધિકારીઓ સાથે પૂર્વ સંકલન પર આધારિત રહેશે.