ઓનલાઈન બેટિંગ કેસમાં યુવી, હરભજન અને રૈનાની પૂછપરછ

મુંબઇ: ઓનલાઇન બેટિંગ કેસમાં અનેક મોટી હસ્તીઓ સાથે પૂછપરછ કરવામાં આવી છે. ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈનાની પૂછપરછ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી છે, એમ EDનાં સૂત્રોએ પાસેથી આ માહિતી મળી છે. એ સાથે જ બોલિવુડ કલાકાર સોનુ સુદ અને ઉર્વશી રૌતેલાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

પ્રતિબંધિત પ્લેટફોર્મ્સનું પ્રમોશન શા માટે કરવામાં આવી રહ્યું છે, જેમાં “વન બેટ”, “ફેર પ્લે” અને “મહાદેવ ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ”નો સમાવેશ થાય છે. ક્રિકેટ રમતા ભૂતપૂર્વ ખેલાડીઓ અને બોલિવુડ કલાકારોએ આ પ્લેટફોર્મ્સનું પ્રમોશન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે, તેથી EDએ કાર્યવાહી હાથ ધરી છે. થોડાં દિવસ પહેલાં જ કોલકાતામાં EDએ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત મોટા ઓનલાઇન સટ્ટાબાજી અને મની લોન્ડરિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટને પકડવા માટે પશ્ચિમ બંગાળ, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ અને આસામ સહિતનાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

આ ઓપરેશન દરમિયાન EDએ 766 મ્યુલ બેંક અકાઉન્ટ્સ અને 17 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ફ્રીઝ કર્યાં હતાં, જે આ ગેરકાયદે સટ્ટાબાજી અને જુગાર સાથે જોડાયેલી નાણાકીય લેવડદેવડમાં વપરાતા હતા. એ ઉપરાંત વિશાલ ભારદ્વાજ ઉર્ફે બાદલ ભારદ્વાજ અને સોનુકુમાર ઠાકુર નામના બે આરોપીઓને PMLA હેઠળ ધરપકડ કરી હતી. બંનેને કોલકાતાની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 10 દિવસની ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

એપ્રિલમાં પણ મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં EDએ મોટું પગલું ભર્યું હતું. એ વખતે દેશમાં અનેક સ્થળોએ દરોડા પાડીને 573 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી હતી. આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત 16 એપ્રિલ, 2025એ દિલ્હી, મુંબઈ, ઇન્દોર, અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ અને સંબલપુર (ઓડિશા)માં કરવામાં આવી હતી.

આ દરોડા દરમિયાન EDએ 3.29 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. એ સાથે જ 573 કરોડથી વધુની સિક્યોરિટીઝ, બોન્ડ અને ડીમેટ અકાઉન્ટ ફ્રીઝ કરાયા હતા. મોટી સંખ્યામાં શંકાસ્પદ દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.