SCO સમિટમાં ભાગ લેવા વિદેશ મંત્રી એસ. જયશંકર જશે ઇસ્લામાબાદ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં થનારી SCO સમિટમાં ભારત તરફથી ભાગ લેવા માટે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર જશ. ઇસ્લામાબાદમાં આ બેઠક 15-16 ઓક્ટોબરે થશે. વિદેશપ્રધાન ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરશે, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું.

પાકિસ્તાનની સાથે કથળેલા સંબંધોને કારણે અનેક વર્ષોથી કોઈ પણ ભારતીય નેતાએ પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત નથી લીધી. PM મોદીએ વડા પ્રધાનપદનો કાર્યભાર સંભાળ્યા પછી વર્ષ 2015માં લાહોરમાં નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી, ત્યાર બાદ ભૂતપૂર્વ અને સ્વ. નેતા સુષમા સ્વરાજે પણ પાકિસ્તાનની યાત્રા કરી હતી, પણ ત્યાર બાદ કોઈ મંત્રીએ પાકિસ્તાનની મુલાકાત નથી લીધી.આ વખતે પાકિસ્તાન SCO સમિટનું આયોજન કરી રહ્યું છે.

પાકિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની અધ્યક્ષતા ધરાવે છે, જે રોટેટ થાય છે. તેમના કાર્યકાળમાં તે ઓક્ટોબરમાં બે દિવસીય SCO હેડ ઓફ ગવર્નમેન્ટ મિટિંગનું આયોજન કરશે. આ પહેલાં ઓગસ્ટમાં પાકિસ્તાને ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટની બેઠકમાં આમંત્રણ આપ્યું હતું.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે 15-16 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ અંતર્ગત ભારતના PM નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે કેટલાક દેશોએ બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી દીધી છે, જેના વિશે યોગ્ય સમયે માહિતી આપવામાં આવશે.વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે જાકિર નાઇકનું પાકિસ્તાનમાં સ્વાગત થવું એ નિંદનીય છે, પરંતુ એમાં કોઈ આશ્ચર્ય નથી.