પાકિસ્તાનમાં 107 જણ સાથેનું પેસેન્જર વિમાન રહેણાક કોલોનીમાં દુર્ઘટનાગ્રસ્ત

કરાચીઃ પાકિસ્તાનના બંદરગાહ શહેર કરાચીમાં આજે બપોરે ભયાનક દુર્ઘટના સર્જાઈ. 99 પ્રવાસીઓ તથા 9 ક્રૂ મેમ્બર્સ સહિત 107 જણ સાથેનું પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું એક વિમાન રહેણાક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

તે વિમાન લાહોરથી કરાચી આવી રહ્યું હતું અને કરાચી એરપોર્ટ નજીકના માલિર વિસ્તારમાં મોડેલ કોલોની નજીકના જિન્નાહ ગાર્ડન મોહલ્લામાં એ તૂટી પડ્યું હતું.

PK8303 નંબરની ફ્લાઈટ કરાચી એરપોર્ટ પર બપોરે 2.45 વાગ્યે ઉતરવાની હતી, પણ એની એક જ મિનિટની પહેલાં એ રહેણાક કોલોની પર તૂટી પડ્યું હતું.

એરબસ A320 વિમાનનું સંચાલન પાકિસ્તાન સરકારની પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ કરતી હતી.

વિમાન ચાર-પાંચ મકાનો પર તૂટી પડ્યું હતું. વિમાન ઉતરાણ કરવાનું હતું એની એક મિનિટ પહેલાં જ એની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

દુર્ઘટનામાં કેટલા જણ માર્યા ગયા છે એની તત્કાળ જાણકારી મળી નહોતી. કોરોના વાઈરસને કારણે લોકડાઉન સમાપ્ત કર્યા બાદ કમર્શિયલ વિમાન સેવા ફરી શરૂ કર્યાને હજી માંડ ગણતરીના જ દિવસો થયા છે ત્યાં આ વિમાન દુર્ઘટના સર્જાઈ છે.

વિમાન કરાચી એરપોર્ટ પર ઉતરાણ કરવાને માત્ર એક જ મિનિટની વાર હતી ત્યાં જ એ તૂટી પડ્યું હતું.

કોરોના વાઈરસના ચેપને કારણે ઓછા પ્રવાસીઓ સાથે વિમાન સેવા શરૂ કરવામાં આવી હતી. એક સીટ પર માત્ર એક જ પ્રવાસીને બેસાડવામાં આવે છે.

વિમાન તૂટી પડ્યાના દ્રશ્યો રાષ્ટ્રીય ટીવી પર જોવા મળ્યા હતા. વિમાન ગીચ વસ્તીવાળા વિસ્તાર પર તૂટી પડ્યું હતું. ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી જોઈ શકાતા હતા.

દુર્ઘટનાની જાણ થતાં તરત જ વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દુર્ઘટનાના કારણની તાત્કાલિક જાણ થઈ શકી નહોતી.