લોકડાઉને પ્રકૃતિને કરી જીવંતઃ વાળ્યો ન વળે એ હાર્યો વળે!

કેલીફોર્નિયાઃ કોરોના વાયરસના પ્રકોપ સામે ઝઝૂમી રહેલા વિશ્વને પર્યાવરણ વૈજ્ઞાનિકોએ ખુશખબરી આપી છે. વિશ્વભરનામ પ્રદૂષણના સ્તર પર નજર રાખનારા વૈજ્ઞાનિકોના એક સમૂહે કહ્યું છે કે, કોરોના વાયરસના કારણે દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ કાર્બન ઉત્સર્જનની માત્રામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના તેજીથી ફેલાતા સંક્રમણના કારણે વિશ્વભરમાં ઔદ્યોગિક કાર્ય લગભગ બંઘ છે. જો કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.

વાર્ષિક કાર્બન ઉત્સર્જનના અનુમાનોની જાહેરાત કરનારી એજન્સી ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટના અધ્યક્ષ રોબ જેક્સને કહ્યું કે, વૈશ્વિક સ્તર પર કાર્બનનું ઉત્સર્જન પ્રતિવર્ષ પાંચ ટકાના દરથી ઘટી શકે છે. કાર્બન ઉત્સર્જનમાં પહેલીવાર ઘટાડો 2008 ના નાણાંકીય સંકટ દરમિયાન જોવા મળ્યો હતો. કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીના અર્થ સિસ્ટમ સાયન્સના પ્રોફેસર જેક્સને પણ કાર્બન ઉત્સર્જનમાં પાંચ ટકાના ઘટાડાનુ અનુમાન વ્યક્ત કર્યું છે.

તેમણે એપણ કહ્યું કે, કાર્બન ઉત્સર્જનની માત્રામાં આ ઘટાડો દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ સૌથી વધારે હોઈ શકે છે. પ્રોફેસર જેક્સને કહ્યું કે, કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનની માત્રામાં આટલો મોટો ઘટાડો ન તો સોવિયત સંઘટના વિઘટન બાદ આવ્યો અને ન તો કોઈ ઓઈલ ક્રાઈસિસ અથવા નાણાકીય સંકટ બાદ દેખાયો, જ્યારે આ કામ એક વાયરસે કરી બતાવ્યું છે.

વાયુ પ્રદૂષણમાં સુધારા વચ્ચે વિશ્વભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર કરી ગઈ છે. સૌથી વધારે સંક્રમિત લોકોના મામલે અમેરિકા પ્રથમ ક્રમે છે. અહીંયા સંક્રમિત લોકોની કુલ સંખ્યા 245373 પર પહોંચી ગઈ છે. તો બીજા સ્થાન પર ઈટલી છે કે જ્યાં 115242 લોકો સંક્રમિત છે. કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં અત્યારસુધીમાં કુલ 50,000 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યારસુધીમાં એક દિવસમાં સૌથી વધારે મૃત્યુની સંખ્યા અમેરિકાથી સામે આવી છે.