વાટાઘાટ માટે અનુકૂળ વાતાવરણ અનિવાર્યઃ ઈમરાન ખાન (મોદીને)

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના તમામ જૂના પ્રશ્નો, ખાસ કરીને જમ્મુ અને કશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે નક્કર અને પરિણામલક્ષી વાટાઘાટ યોજવા માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરવામાં આવે તે અનિવાર્ય છે.

ઈમરાન ખાને આ નિવેદન પીએમ મોદીને મોકલેલા વળતા પત્રમાં કર્યું છે. મોદીએ ગઈ 23 માર્ચે પાકિસ્તાનના પ્રજાસત્તાક દિવસ, જેને પાકિસ્તાનમાં ‘પાકિસ્તાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે પાકિસ્તાનની પ્રજાને અભિનંદન આપતો પત્ર ઈમરાન ખાનને મોકલ્યો હતો. એમાં મોદીએ લખ્યું હતું કે પાકિસ્તાન સાથે એખલાસભર્યા સંબંધો રાખવા ભારત ઈચ્છે છે, પરંતુ ત્રાસવાદ અને શત્રુતાવિહોણા વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થાય એ અનિર્વાય છે. ઈમરાન ખાને પોતાના પત્રમાં મોદીનો આભાર માન્યો છે અને જણાવ્યું છે કે ભારત સહિત તમામ પડોશી દેશો સાથે શાંતિપૂર્ણ અને સહકારભર્યા સંબંધો રાખવાની પાકિસ્તાનની જનતાની પણ ઈચ્છા છે.