કોવિડ, રસીકરણથી હાર્ટ એટેકનું જોખમ?: WHOનાં વૈજ્ઞાનિક

નવી દિલ્હીઃ હાલના દિવસોમાં હાર્ટ એટેકોના કેસોમાં વધારો જોવા મળ્યો છે. યુવાઓને જિમમાં કસરત કરતાં પણ હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે. આવામાં હાર્ટ એટેકના જોખમને કોરોનાથી જોડવામાં આવી રહ્યું છે. WHOનાં ભૂતપૂર્વ મુખ્ય સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને હાલમાં કહ્યું હતું કે કોવિડ પછી હાર્ટ એટેક, ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. રસીકરણ થયા બાદની તુલનામાં કોવિડ પછી હાર્ટ એટેકનું જોખમ 4-5 ટકા વધુ છે. WHO અને અન્ય નિષ્ણાતોએ વારંવાર ચેતવણી આપી હતી કે કોવિડ અનેક ઘાતક બીમારીઓ જેવી કે હાર્ટ એટેક નર્વસ સિસ્ટમ ફેલ્યોર અને અન્ય કારણો હોઈ શકે.

રસી લગાવનારને કોવિડ કેવી રીતે પ્રભાવ કરી શકે છે એ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે એ કોરોના વાઇરસ એ રસીથી ઇમ્યુનિટીને ઓછી કરી દે છે, જેથી ઘાતક રોગો થવાની શક્યતા વધી જાય છે. જેથી સતત નિગરાની કરવી જરૂરી છે.

આ મહિનાના પ્રારંભે WHOના ડિરેક્ટર ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયિયસે ઘોષણા કરી હતી કે કોવિડ19 આંતરરાષ્ટ્રીય ચિંતાનું એક જોખમ આરોગ્ય માટે ઇમર્જન્સી બનેલો છે. વિશ્વ રોગચાળાના ચોથા વરસમાં પ્રવેશ કરી રહ્યું છે. એક વર્ષ પહેલાં ઓમિક્રોન લહેર તેના પિક પર હતી, ત્યારથી સુધારો થયા છતાં વાઇરસ એક મહત્ત્વનું જોખમ બનેલો છે.     તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમણ અથવા રસી વિશ્વના લોકોને ઇન્ફેક્શનથી બચાવે છે, પણ એમાં કોઈ સંદેહ નથી કે એ વાઇરસ લોકો અને પ્રાણીઓમાં નજીકના ભવિષ્યમાં સ્થાયી રીતે સ્થાપિત રોગ બની રહેશે.