ચીનનું વલણ નરમ પડ્યું, ભારતને આપ્યો સંયુક્ત સૈન્ય અભ્યાસનો પ્રસ્તાવ

બિજીંગ- ચીને ભારત પ્રત્યેના પોતાના વલણમાં નરમી લાવતા ભારતીય સેના સાથે સંયુક્ત અભ્યાસ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. આપને જણાવી દઈએ કે, ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ સર્જાયા બાદ ચીને ભારતીય સેના સાથે સંયુક્ત અભ્યાસ કરવાની વાત કોઈપણ કારણ વગર પડતી મુકી હતી. પરંતુ હવે ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણના ચીન પ્રવાસ પહેલા ચીનના ભારત પ્રત્યેના તેના વલણમાં બદલાવ લાવ્યો છે. જે પરિવર્તન સૂચવે છે.આપને જણાવી દઈએ કે, આગામી સપ્તાહે ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ બિજીંગ પ્રવાસે જઈ રહ્યા છે. ચીને તેના સત્તાવાર પ્રસ્તાવમાં જણાવ્યું છે કે, ભારત અને ચીનની સેનાઓ આ વર્ષના અંત સુધીમાં કોઈ પણ સમયે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરી શકે છે.

આગામી 24 એપ્રિલે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં ભાગ લેવા નિર્મલા સીતારમણ બિજીંગ જઈ રહ્યાં છે. આ દરમિયાન તેમની મુલાકાત ચીનની ડિફેન્સ મિનિસ્ટર સાથે થઈ શકે છે. આ સમય દરમિયાન વિદેશપ્રધાન સુષમા સ્વરાજ પણ SCO વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા બિજીંગ જશે. હાલમાં બન્ને દેશો વચ્ચે વાર્ષિક સૈન્ય અભ્યાસ સ્થગિત કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે, દર વર્ષની શરુઆતમાં બન્ને દેશો વચ્ચે સેક્રેટરી સ્તરની બેઠકમાં સંયુક્ત સૈન્ય અભ્યાસનું શેડ્યૂલ નક્કી કરવામાં આવે છે.