બ્રિટિશ-PM બોરીસ જોન્સન એપ્રિલના અંતમાં ભારત આવશે

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન આવતા મહિનાના અંતભાગમાં ભારતની મુલાકાતે આવશે. ઉલ્લેખનીય છે કે, બોરીસ જોન્સન ગઈ 26 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિનના ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના હતા, પરંતુ બ્રિટનમાં કોરોના વાઈરસ રોગચાળાના નવા સ્ટેનનો ફેલાવો થતાં તેમણે પોતાની એ મુલાકાતને રદ કરી દીધી હતી.

રોઈટર સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ, ભારતીય ઉપખંડ વિસ્તારમાં બ્રિટન માટેના અવસરોને બળ પૂરું પાડવા, વધુ બળવાન બની રહેલા ચીન સામે લોકતાંત્રિક પ્રકારે પોતાનું વળતું વજન વધારવા માટે અને ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં પોતાની વગનો વિસ્તાર કરવાના ઉદ્દેશ્ય સાથે જોન્સન ભારત આવી રહ્યા છે. બ્રિટિશ સરકારના માનવા મુજબ વિશ્વમાં ભૌગોલિક રાજકીય કેન્દ્ર તરીકે ઈન્ડો-પેસિફિક વિસ્તારનું મહત્ત્વ વધી રહ્યું છે. હોંગકોંગ, કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવા અને બ્રિટનના 5G નેટવર્કમાં હુઆવેઈને સક્રિય ભૂમિકા ભજવવાના ઈનકારના મુદ્દે બ્રિટન અને ચીન વચ્ચેના સંબંધો હાલ કડવા બન્યા છે.

(તસવીર સૌજન્યઃ બોરીસ જોન્સન ટ્વિટર)