PM મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોએ ઈટાલીમાં તોડી મહાત્મા ગાંધીની પ્રતિમા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 13 જૂને G7 સમિટમાં ભાગ લેવા માટે ઈટાલી જવા રવાના થશે. પીએમ મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોએ ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. ખાલિસ્તાન સમર્થકોએ હરદીપ સિંહ નિજ્જરનો પણ ઉલ્લેખ કર્યો છે.

13 થી 15 જૂન દરમિયાન ઇટાલીમાં G7 સમિટ યોજાશે. આ પહેલા ઈટાલીમાં ખાલિસ્તાની સમર્થકોએ આ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. આ ઘટનાની તસવીરો સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે મહાત્મા ગાંધીની પ્રતિમા તોડ્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ ત્યાં વિરોધમાં સૂત્રોચ્ચાર પણ લખ્યા છે.

આ ઘટના પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા સામે આવી છે. વિદેશ સચિવે કહ્યું કે ભારતે ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો છે, પ્રતિમાનું સમારકામ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન અંગે તેમણે ઈટાલીના અધિકારીઓ સાથે વાત કરી છે અને આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે વડાપ્રધાન મોદી 13 થી 15 જૂન દરમિયાન યોજાનારી G7 સમિટમાં ભાગ લેવા માટે આવતીકાલે ઇટાલી જશે. આ વર્ષે G7 સમિટ ઇટાલીના અપુલિયા વિસ્તારમાં બોર્ગો એગ્નાઝિયાના લક્ઝરી રિસોર્ટમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત G7 સમિટમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સામેલ થશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી 13 જૂને ઈટાલી જવા રવાના થશે અને 14 જૂનની મોડી સાંજ સુધીમાં પરત ફરશે. વડાપ્રધાનની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને NSA અજીત ડોભાલનો સમાવેશ થઈ શકે છે. PM મોદી G-7 શિખર સંમેલન દરમિયાન ઘણી દ્વિપક્ષીય બેઠકો કરશે, જેમાં ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની મુલાકાતનો પણ સમાવેશ થાય છે.