ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસના બે અધિકારી લાપતા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના આ પાટનગર શહેરમાંની ભારતીય દૂતાવાસના બે જૂનિયર કક્ષાના અધિકારી આજે સવારે 8 વાગ્યાથી લાપતા થયા છે. દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી અને પ્રવક્તા અખિલેશ સિંહે પાકિસ્તાની સત્તાવાળાઓને આની તત્કાળ જાણ કરી દીધી હતી.

નવી દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસના બે અધિકારીને જાસૂસી કરવાના આરોપસર પાકિસ્તાન પાછા મોકલી દેવાયા બાદ ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસ સાથે આ ઘટના બની છે. ભારતીય રાજદૂતોની વારંવાર ફરિયાદ રહી છે કે એમનો સતત પીછો કરવામાં આવતો હોય છે.

ભારતીય દૂતાવાસના બંને અધિકારી એમની સત્તાવાર ફરજ બજાવવા માટે એક વાહનમાં નીકળ્યા હતા, પરંતુ તેઓ ઓફિસે પહોંચ્યા જ નહોતા.

બે કલાક સુધી તેઓ ઓફિસે ન પહોંચતા પાકિસ્તાની સત્તાવાળાઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.