સિંધુ નદી પર ડેમ બનશે તો ભારત સાથે યુદ્ધ થશેઃ બિલાવલ ભુટ્ટો

નવી દિલ્હીઃ ભારતીય સેના દ્વારા વારંવાર માર ખાધા પછી પણ પાકિસ્તાન અને ત્યાંના નેતાઓ સુધરતા નથી. આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવાને બદલે પાકિસ્તાની નેતાઓ સતત ભારત સામે ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ફરી એક વાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે.

સિંધુ જળ સંધિ અંગે પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં બોલતાં બિલાવલે કહ્યું હતું કે તેમનો દેશ ભારત વિરુદ્ધ બીજી એક લડાઈ લડશે. ભારતને ધમકી આપતાં બિલાવલે કહ્યું હતું કે જો સિંધુ જળ સંધિનું પાલન નહીં થાય તો ભારતે પરિણામો ભોગવવાં પડશે.

બિલાવલે કહ્યું હતું કે જો ભારતે સિંધુ જળ સંધિ રદ કરી નદીઓનું વહેણ ફેરવી દીધું કે ડેમ બનાવવાનો પ્રયાસ કર્યો તો પાકિસ્તાન ભારત વિરુદ્ધ યુદ્ધ લડશે. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાન પોતાના દેશ માટે તમામ છ નદીઓનું પાણી મેળવશે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં બિલાવલ ભુટ્ટોએ એ પણ કહ્યું હતું કે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં પાકિસ્તાને ખુલ્લેઆમ ઇરાનના પક્ષમાં છે. તેમણે કહ્યું હતું કે પહેલાં તેમણે પેલેસ્ટાઇન પર હુમલો કર્યો અને કોઈ બોલ્યું નહીં, પછી લેબનાન પર હુમલો કર્યો પણ કોઈ બોલ્યું નહીં, પછી યમન પર હુમલો કર્યો છતાં આપણે ચૂપ રહ્યા.

ત્યાં સુધી કે હવે તેઓ ઇરાન પર હુમલા કરી રહ્યા છે. જો આપણે હવે પણ નહીં બોલીએ તો જ્યારે તેઓ આપણા પર હુમલો કરશે ત્યારે આપણું બાજુ કોઈ બચ્યું નહીં હોય. તેમણે જણાવ્યું કે સમગ્ર પશ્ચિમી એશિયાઈ વિસ્તારમાં ઇઝરાયલના આક્રમક વલણ પર રોક લગાવવી જરૂરી છે.