હિન્દુ-મુસ્લિમ રૂ. 100 કરોડની જમીનને મુદ્દે આમનેસામને

ભોપાલઃ ભોપાલના કોલાર વિસ્તારમાં આવેલા અકબરપુરમાં હાઈટેક ગૌશાળા માટે ભૂમિપૂજન બાદ આ જગ્યા હિંદુ અને મુસ્લિમ સમુદાય વચ્ચે વિવાદનું કારણ બની છે. અંદાજે 100 કરોડ રૂપિયાની આ જમીન પર ભૂમિપૂજન થતાં જ મુસ્લિમ પક્ષ આગળ આવ્યો અને એણે દાવો કર્યો છે કે આ કબ્રસ્તાન છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ તહેવાર સમિતિ તરફથી દસ્તાવેજો રજૂ કરીને બતાવવામાં આવી રહ્યા છે કે આ જમીન કબ્રસ્તાનને નામે નોંધાયેલી છે અને વક્ફ બોર્ડનો પણ આ પર દાવો છે.

મુસ્લિમ પક્ષનો દાવો છે કે અહીં તેમની કેટલીક કબર દફન છે અને ભૂમાફિયા જમીન પર કબજો કરવા માગે છે.

શું છે આખ મામલ?
આ જમીન પર કોંગ્રેસના નેતા અશ્વિની શ્રીવાસ્તવનો દાવો છે કે જમીન તેમની છે અને તેઓ અહીં હાઈટેક ગૌશાળા બનાવવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ મુસ્લિમ પક્ષ આ દાવાને નકારી રહ્યો છે. ભૂમિપૂજન થયા બાદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ તહેવાર સમિતિ સહિત મુસ્લિમો વક્ફ બોર્ડની કચેરી પહોંચ્યા અને પ્રતિકાત્મક રીતે અર્થી તૈયાર કરી, સવાલ ઉઠાવ્યો કે જો કબ્રસ્તાન જતું રહેશે તો મૃતદેહોને દફનાવવા ક્યાં લઈ જઈશું? એ દરમ્યાન કેટલાક યુવાનોને કફનમાં લપેટીને રોડ પર સુવડાવવામાં આવ્યા હતા.

તેમણે ગુમ થતા જઈ કબ્રસ્તાન, ક્યાં દફન કરીએ જીવતા માનવ, ક્યાં ગયું આ કબ્રસ્તાન – જમીન ખાઈ ગઈ કે આસમાને ઊડી ગયું?” જેવાં બેનરો સાથે વિરોધ કર્યો. મુસ્લિમ પક્ષના દાવા અનુસાર ભૂમાફિયાઓ સ્થાનિક ધારાસભ્ય રમેશ્વર શર્માને ગેરમાર્ગે દોરીને જમીન કબજે કરવા માગે છે. તેમણે કહ્યું છે કે અહીં ગૌશાળા બની તો ગંદકી ફેલાશે અને કબ્રસ્તાન પર ગૌશાળા નહીં બનવા દેવાય. અમે આંદોલન પણ કરીશું અને કોર્ટ પણ જઈશું.

ભાજપના ધારાસભ્ય રમેશ્વર શર્માએ કહેલું કે આ સરકારી જમીન છે. નવાબી કાળમાં અહીં 60 વર્ષ પહેલાં હિંદુ બાળકોને દફનાવાતા હતા. મુસ્લિમોએ હવે 100 કરોડની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે. આ તેમના અબ્બાની જમીન નથી. અહીં તો ગૌશાળા જ બનશે.