દેશભરમાં પર્યાવરણના સંવર્ધન,સંરક્ષણ અને વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેકવિધ નવા પર્યાવરણલક્ષી પ્રક્લ્પો તેમજ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેનું ઉત્તમ ઉદાહરણ છે ‘એક પેડ માં કે નામ’.
ગુજરાત સહિત ભારતભરમાં દર વર્ષે તા.5 જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ઉજવવામાં આવે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના તેમજ રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વન વિભાગ દ્ધારા ‘સામાજિક વનીકરણ સોશિયલ ફોરેસ્ટી’ રૂપે અનેકવિધ નવની પહેલા કરવામાં આવી છે.
વન બહારના વિસ્તારોમાં ૧,૧૪૩ ચો.કિ.ના વન આવરણ વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. પર્યાવરણના જતન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૪-૨૫માં વન અને પર્યાવરણ વિભાગનું બજેટ જે રૂ.૨,૫૮૬ કરોડ હતું જે આ વર્ષે ૨૦૨૫-૨૬માં ૨૦ ટકા વધારીને રૂ.૩,૧૩૯ કરોડ કર્યું હતું.
પર્યાવરણ જતનમાં ગુજરાતની અનોખી પહેલના ભાગરૂપે વન વિભાગની સામાજિક વનીકરણ પાંખ દ્વારા સમગ્ર રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં અંદાજે ૧૪,૯૩૯.૬૦ હેક્ટર અને વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૧,૦૦૦ હેક્ટર આમ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૪૫,૯૩૯ હેક્ટર વિસ્તારમાં ખેડૂતલક્ષી વાવેતર કરવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ અંતર્ગત ગત વર્ષે વન વિભાગ દ્વારા હરીત વન પથ વાવેતર, પંચરત્ન ગ્રામ વાટીકા વાવેતર, અમૃત સરોવર ફરતે પંચરત્ન વાવેતર અને નર્સરીમાં ટોલ સીડલીંગ એમ ચાર નવીન યોજનાઓમાં પણ અમલી બનાવવામાં આવી છે.
રાજ્યમાં હરિત વન પથ યોજના હેઠળ કુલ ૭૦ હેક્ટર વિસ્તારમાં, પંચ૨ત્ન ગ્રામ વાટિકા મોડેલ હેઠળ કુલ ૧,૦૦૦ ગામડાંઓમાં તેમજ પંચરત્ન વાવેતર મોડેલ હેઠળ કુલ ૬૫ અમૃત સરોવર ફરતે વૃક્ષોનું વાવેતર ક૨વામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં કુલ ૨૧૧ વન કુટીર, સમગ્ર રાજ્યમાં કુલ ૨૦ પંચવટી કેન્દ્ર, રાજ્યમાં કુલ ૫૮ પવિત્ર ઉપવન તૈયાર ક૨વામાં આવ્યા છે.
સામાજિક વનીકરણ અંગે જાગૃતિ માટે સમગ્ર રાજ્યમાં કુલ ૧૬૬ કિસાન શિબિર, કુલ ૬૬ મેડિકલ કેમ્પ તેમજ રાજ્યમાં કુલ ૬૬,૦૦૦ કલમી ફળાઉ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક પુનિત વન સાકાર થયું, ત્યારબાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થીમ આધારિત નવા સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ થઈ છે. આ સાંસ્કૃતિક વનો આજે પર્વારણના રક્ષણ સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યા છે.
