‘યુવા સંગમ’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત-આસામ વચ્ચે આદાન-પ્રદાન

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે હાથ ધરેલી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ પહેલ અંતર્ગત શિક્ષણ મંત્રાલયની આગેવાની હેઠળ નિર્ધારિત ‘યુવા સંગમ’ કાર્યક્રમના ભાગરૂપે ગુજરાતમાંથી 53 વિદ્યાર્થીઓ અને ઓફ્ફ-કેમ્પસ યુવાવ્યક્તિઓ આસામની મુલાકાતે જશે અને આસામના 18 વિદ્યાર્થી-યુવાઓ ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાતો સરળ અને સુવિધાપૂર્ણ બની રહે તે માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN)ની નિયુક્તિ નોડલ ઈન્સ્ટિટ્યૂટ તરીકે કરવામાં આવી છે. આ બંને રાજ્યોના વિદ્યાર્થીઓ-યુવાઓને સંસ્કૃતિ, કળા, જીવનશૈલી તથા સ્થળો વિશે વ્યાપક વિવિધલક્ષી અનુભવ પ્રાપ્ત થશે. IITGN ખાતે 24 ફેબ્રુઆરી, 2023ના રોજ ઉદઘાટન સમારોહ યોજવામાં આવશે. તે પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર પ્રો. રજત મૂના ઉપસ્થિત રહેશે.

આસામના વિદ્યાર્થીઓ અને યુવાઓ તેમજ એમની સાથેના અધિકારીઓ 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેશે અને પાંચ ક્ષેત્રમાં વ્યાપક માહિતી-અનુભવ પ્રાપ્ત કરશે – પર્યટન, પરંપરા, પ્રગતિ, પ્રોદ્યોગિકી (ટેક્નોલોજી) અને પરસ્પર સંપર્ક.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ, યુવાઓ આસામની મુલાકાતે જશે ત્યારે IIT ગુવાહાટી દ્વારા એમનું સમ્માન કરવામાં આવશે.