કેમ વિસાવદરની આ બેઠક રાજકીય ઊથલપાથલ માટે પંકાયેલી છે?

વિસાવદરઃ દેશભરમાં ગુજરાત ભાજપની પ્રયોગશાળા તરીકે જાણીતું છે તો સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ ગણાય છે. ભાજપને વર્ષ ૧૯૯૫માં ગાંધીનગરની ગાદી સુધી પહોંચાડવામાં સૌરાષ્ટ્રની મહત્વની ભૂમિકા રહેલી છે. આ સૌરાષ્ટ્રની વિસાવદર વિધાનસભા બેઠક પણ દાયકાઓથી  કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહી છે.  ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩એ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ભૂપતભાઈ ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દેતાં વિસાવદરની બેઠક ફરી એક વાર ચર્ચામાં આવી છે.

વિસાવદરથી જીતી કેશુભાઈ મુખ્ય મંત્રી બન્યા

ભાજપે ૧૯૯૫માં ગુજરાતમાં સંપૂર્ણ બહુમતી સાથે પ્રથમ વખત સત્તા મેળવી ત્યારે મુખ્ય મંત્રીપદે કેશુભાઈ પટેલે સુકાન સંભાળ્યું હતું તેઓ પણ વિસાવદર બેઠક ઉપરથી ચૂંટાયા હતા. જૂનાગઢ જિલ્લામાં આવેલી આ બેઠક ઉપરથી કેશુભાઈ પટેલ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૯૮માં ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડ્યા પણ વર્ષ ૨૦૦૧માં રાજકીય સમીકરણો બદલાયા અને કેશુભાઈએ ભાજપ સામે બળવો કરીને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ( જીપીપી). વર્ષ ૨૦૧૨માં કેશુભાઈ વિસાવદરથી ફરી લડ્યા અને ભાજપને હંફાવી નવી પાર્ટીમાંથી ધારાસભાની ચૂંટણી જીત્યા ત્યારે પણ આ બેઠકે ચર્ચા જગાવી હતી.

વિસાવદર બેઠક પર કોણ ક્યારે જીત્યું ?

૧૯૯૫   કેશુભાઈ પટેલ ( ભાજપ )

૧૯૯૮   કેશુભાઈ પટેલ ( ભાજપ )

૨૦૦૨   કનુભાઈ ભાલાળા ( ભાજપ )

૨૦૦૭   કનુભાઈ ભાલાળા ( ભાજપ )

૨૦૧૨   કેશુભાઈ પટેલ ( જીપીપી )

૨૦૧૪   હર્ષદ રિબડીયા   ( કોંગ્રેસ )

૨૦૧૭  હર્ષદ રિબડીયા   ( કોંગ્રેસ )

૨૦૨૨  ભૂપત ભાયાણી ( આપ )

 

કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેડ ફાડ્યો

વર્ષ ૨૦૧૨ની આ ચૂંટણીમાં એક એવી ઘટના બની જે હજુ લોકો ભૂલ્યા નથી. આ ચૂંટણીમાં કોંગ્રેસે સ્થાનિક આગેવાન હર્ષદ રિબડિયાને બદલે અન્યને ટિકિટ આપતાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારનો મેન્ડેડ ફાડી નાખવાની ઘટનાએ માત્ર કોંગ્રેસમાં નહીં ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી. સ્થિતિ એવી સર્જાઇ કે કોંગ્રેસનો ઉમેદવાર મેદાનમાં જ ન રહ્યો અને કેશુભાઈ પટેલ ( જીપીપી ) ભાજપને હરાવી આ બેઠક જીતી ગયા હતા. જોકે સૌરાષ્ટ્રમાં કેશુભાઈ પટેલ પછી વિઠ્ઠલભાઈ રાદડિયા બાદ હર્ષદ રિબડિયા લેઉવા પટેલના એક નેતા તરીકે ઊપસી રહ્યા હતા, પણ તેમણે કોંગ્રેસ છોડી પછી સમીકરણો બદલાઈ ગયાં. પૂર્વ ધારાસભ્ય રિબડિયા ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે “હું કોઈ પણ રાજકીય પક્ષમાં હોઉં હોદો હોય કે નહીં, પણ હમેંશાં ખેડૂતોના મુદે લડતો આવ્યો છે મારા માટે સ્થાનિક લોકો અને ખેડૂતોની સમસ્યા હાલ કરવાના પ્રયત્નો એ પ્રાથમિકતા છે“

કેશુભાઈના પુત્ર ભરત પટેલ હાર્યા

લગભગ બે વર્ષ બાદ કેશુભાઈએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સાથે જ વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી યોજાઈ. હવે આ ચૂંટણીમાં કેશુભાઈના પુત્ર ભરત પટેલ ભાજપમાંથી ચૂંટણી લડ્યા પણ તેઓ કોંગ્રેસના હર્ષદ રિબડિયા સામે હારી ગયા. આ એ સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ભાજપમાંથી ચૂંટણી હારી જતાં આ બેઠકના પરિણામે ખાસ્સી ચર્ચા જગાવી હતી. ભરત પટેલ ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં કહે છે “નરેન્દ્રભાઈ મોદી એ જ મને વિસાવદરથી ચૂંટણી લડવા કહ્યું હતું, પરંતુ કેટલાક લોકોના કુપ્રચારને કારણે હું ચૂંટણી હારી ગયો હતો. જોકે આ મતવિસ્તારમાં કેશુભાઈએ ખૂબ કામ કર્યું હોવાથી લોકોમાં આદર છે. પક્ષ છોડ્યા બાદ એક માત્ર કેશુભાઈ એવા હતા કે લોકોએ તેમને ૨૦૧૨માં ચૂંટયા હતા. વિસાવદર બેઠકની રાજકીય તાસીર રહી છે કે પક્ષ પલટુને સ્વીકારતા નથી તેમાં કેશુભાઈ અપવાદ હતા. હર્ષદ રિબડિયા કોંગ્રેસ છોડી ભાજપમાંથી ૨૦૨૨માં ચૂંટણી લડ્યા તો હારી ગયા. “

એક દાયકા બાદ ફરી લોકસભા સાથે પેટાચૂંટણી આવશે

વિસાવદરની બેઠક ઉપર લેઉવા પટેલ સમાજનું વર્ચસ્વ છે. છેલ્લા ચાર દાયકાનો ઇતિહાસ જોઈએ તો લેઉવા પટેલના આગેવાન જ ચૂંટાયા છે. આશરે ૨.૭૦ લાખ મતદારોમાં ૫૦ ટકાથી વધુ લેઉવા પટેલ છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાનાં ૧૭૦થી વધુ ગામો આ મત વિસ્તારમાં આવે છે. છેલ્લા એક દાયકામાં ત્રણ ધારાસભ્યો કેશુભાઈ, હર્ષદ રિબડીયા અને ભૂપત ભાયાણીએ ચાલુ ટર્મ દરમિયાન રાજીનામું આપ્યું છે. હવે વર્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી વખતે વિસાવદરની પણ પેટા ચૂંટણી આવશે આમ એક દાયકા બાદ યોગાનુયોગ ફરી લોકસભાની સાથે આ બેઠકની ચૂંટણીનું પુનરાવર્તન થશે.

(દેવેન્દ્ર  જાની – રાજકોટ)