વડોદરાનિવાસી લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીને પરમ વિશિષ્ટ સેવા મેડલ

વડોદરાઃ અત્રેના રહેવાસી લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી ગુજરાતમાંથી દેશના માત્ર ત્રીજા આર્મી ઓફિસર બન્યા છે, જેઓ લેફ્ટનન્ટ જનરલના હોદ્દા પર પહોંચ્યા છે, અને શાંતિ સમયના સર્વોચ્ચ વિશિષ્ટ સેવા પુરસ્કાર પીવીએસએમથી સન્માનિત થયેલા બહુ ઓછા અધિકારીઓમાંના એક છે. લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીને આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એક સમારોહમાં આ મેડલ એનાયત કરવામાં આવશે.

લે. જનરલ મિસ્ત્રી અગાઉ લેફ્ટનન્ટ જનરલના પદ સુધી પહોંચનારા અન્ય બે ગુજરાતી અધિકારીઓમાં જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજા, ભારતીય સેનાના ભૂતપૂર્વ કમાન્ડર ઇન ચીફ અને લેફ્ટનન્ટ જનરલ મહિપતસિંહજીનો સમાવેશ થાય છે.

લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રી ગયા મહિને (31 મી ઓક્ટોબર 2021) સેવામાંથી નિવૃત્ત થયા હતા. સેવામાં હતા ત્યારે તેઓ છેલ્લે નેશનલ ડિફેન્સ એકેડેમી, ખડકવાસલાના કમાન્ડન્ટ તરીકે કાર્યરત હતાં, જે ક્રેડલ ઓફ મિલિટરી લીડરશીપ તરીકે વધુ જાણીતી છે.  જ્યાં તેમણે લગભગ 2,000 યુવાન કેડેટ્સની તાલીમની દેખરેખ રાખી હતી. તેઓ મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રીની કર્નલ ઓફ રેજિમેન્ટમાં પણ રહી ચૂક્યા છે.

સેવામાંથી નિવૃત્તિ બાદ લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રી હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગરમાં સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડાયરેક્ટર તરીકે જોડાયા છે અને તેઓ અમદાવાદમાં સ્થાયી થશે.

લગભગ ચાર દાયકાની લશ્કરી કારકિર્દી દરમિયાન લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીને અન્ય ત્રણ વિશિષ્ટ સેવા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે, જેમાં અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક (એવીએસએમ), સેના મેડલ (એસએમ) અને વિશિષ્ટ સેવા મેડલ (વીએસએમ) ઉપરાંત ચીફ ઓફ આર્મી સ્ટાફ અને જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફની પ્રશંસાનો સમાવેશ થાય છે. 72મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ તેમને પ્રતિષ્ઠિત પીવીએસએમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીનો જન્મ 25 ઓક્ટોબર, 1961ના રોજ વડોદરામાં થયો હતો. તેમણે એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં પ્રારંભિક શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

ખૂબ નાની ઉંમરથી જ તેમણે લશ્કરમાં જોડાવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું, અને પોતાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પ્રથમ પગલું ભરતાં 1972માં બાલાછડી ખાતેની સૈનિક સ્કૂલમાં જોડાયા હતા. 1978માં એનડીએ, ખડકવાસલા માટે તેમની પસંદગી કરવામાં આવી હતી, અને 1982માં 12-મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીમાં તેમને નિયુક્ત કરાયા હતાં.  12-મરાઠા એલઆઈમાં નિમણૂક મેળવનારા તે પ્રથમ અધિકારી હતા, પાછળથી જેની તેમણે કમાન સંભાળી હતી.

લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રી ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ અને હાયર કમાન્ડ કોર્સના સ્નાતક છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિફેન્સ સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી અને ઇન્દોરના દેવી અહિલ્યાબાઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.ફિલ.ની ડિગ્રી મેળવી છે.

જનરલ મિસ્ત્રીએ તેમની લાંબી લશ્કરી કારકિર્દી દરમિયાન દ્રાસ અને સિયાચીન ગ્લેશિયરની ગાત્રો થીજાવી દેનારી ઊંચાઈથી માંડીને આસામ તેમજ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય બળવાખોરી અને આતંકવાદ-વિરોધી કાર્યવાહી સુધીની વિવિધ અને પડકારજનક કામગીરી પાર પાડી છે. એક યુવાન કેપ્ટન તરીકે લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીએ નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સમાં ટીમ કમાન્ડર તરીકે સેવા આપી હતી, જે બ્લેક કેટ્સ તરીકે વધુ જાણીતા છે. તેમને સંયુક્ત રાષ્ટ્ર પીસકીપિંગ મિશનનો વ્યાપક અનુભવ છે અને તેઓ 1996-97માં લાઇબેરિયામાં સંયુક્ત રાષ્ટ્રના લશ્કરી નિરીક્ષક અને 2012-14માં દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના ડેપ્યુટી ફોર્સ કમાન્ડર હતા.

લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીએ મીરા મિસ્ત્રી સાથે લગ્ન કર્યા છે અને તેમના એકમાત્ર પુત્ર મેજર શ્રેય મિસ્ત્રી પણ પિતાના વારસાને આગળ ધપાવીને ભારતીય સેનાના એ જ યુનિટમાં જોડાયા છે.

1960માં સ્થાપિત પીવીએસએમ એ શાંતિ-સમયની સેવાને બિરદાવવા માટે આપવામાં આવતું સૌથી સર્વોચ્ચ લશ્કરી સન્માન છે.