રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું: ખેડૂતોને નુકસાન

અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રામાં લો પ્રેશર સર્જાતાં તેની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક  વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે મહેસાણાની બહુચરાજી APMCમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. 

રાજ્યમાં ભરશિયાળે માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સવારથી 19 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે.

સાણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું અને કમોસમી વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી ત્રણથી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જેથી ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદના વાતાવરણમાં આજે વહેલી સવારે પલટો આવ્યો હતો. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા સહિતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠામાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. અરવલ્લીના શામળાજી પંથકમાં કમોસમી વરસાદ વરસતા કારતકી પૂનમના મેળાને લઈને ભક્તોને હાલાકી નડી છે. અરવલ્લીના ભીલોડાના લીલછા, મલાસા અને મુનાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.

જેના કારણે હવામાન વિભાગની આગાહીને પગલે ખેરાળુ, વડનગર અને કડીના કેટલાક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે.