દિવાળીમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિવાળી જ નહીં, અન્ય તહેવારો તેમ જ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. દિવાળીના તહેવારને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ  મૂકવામાં આવ્યો છે.

રાજ્યમાં લોકોએ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે. હવે જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય. તેમ જ ગેરકાયદે આયાત કરાતા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદે વેચાણ સંગ્રહખોરી સામે પગલા લેવા અને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

ફટાકડાનો ધુમાડો કોરોનાના દર્દીઓ માટે જોખમી

ડોક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓ માટે જ નહીં, કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે. કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં પ૨ થઈ હોય છે એટલે ફેફસાં પ્રમાણમાં નબળા પડ્યા હોવાથી ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ડિસ્ચાર્જ થયા બાદ પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ નિષ્ણાતો આ દિવાળીએ ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે.