શિક્ષણપ્રધાને PMને ઘઉંના દાણામાંથી બનાવેલું ચિત્ર ભેટ આપ્યું

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યના બે દિવસના પ્રવાસે છે. તેમણે સુરતની જનતાને વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ ભાવનગરમાં પણ અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડા પ્રધાનની ભાવનગરની મુલાકાતમાં શિક્ષણપ્રધાન અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જિતુભાઈ વાઘાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘઉંના દાણામાંથી બનાવેલું તેમનું ચિત્ર અર્પણ કર્યું હતું. વિશ્વ પ્રસિદ્ધ નોબેલ પુરસ્કૃત ડો. નોર્મલ બોરલોએ જેને વિશ્વના સૌથી મોટી સાઇઝના ઘઉંનું બિરુદ આપ્યું હતું તેવા ગુજરાતની લોકભારતી સંસ્થા દ્વારા સંશોધિત પ્રાકૃતિક લોક-1 ઘઉંની જાતના દાણામાંથી આ ચિત્ર બનાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકભારતી ભારતની એકમાત્ર એવી સંસ્થા છે, જેણે ઘઉંની લોક-1 જાતનું સંશોધન કર્યું છે. વર્ષ 1981થી ભારતની ઘઉંની તમામ જાતોમાં આ જાત સર્વશ્રેષ્ઠ છે. આ એકમાત્ર જાત એવી છે કે  જે છેલ્લાં 40 વર્ષથી ટકેલી છે તેમ જ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. દેશનાં 16 રાજ્યોમાં 30 લાખ હેક્ટર વિસ્તારમાં લોક-1 જાત ઉગાડવામાં આવે છે. લોક-1નો ઉપયોગ કરીને ખેડૂતો 8 ટકા વધુ ઊપજ પ્રાપ્ત કરી શકે છે, જેને કારણે વાર્ષિક રાષ્ટ્રીય નફો રૂપિયા 200 કરોડ સુધીનો પ્રાપ્ત થાય છે. દેશની હરિયાળી ક્રાંતિમાં અને ખાદ્ય સુરક્ષામાં આ એક અભૂતપૂર્વ યોગદાન છે.