તમાકુ, પાન-મસાલા વેચાણ પરનો પ્રતિબંધ લંબાવાયો

અમદાવાદઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ગુટકા તેમ જ તમાકુ કે નિકોટિનયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને એ માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે હેઠળ કોઈ પણ ખાદ્ય ચીજોમાં તમાકુ કે નિકોટિન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટિનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકસાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

સ્કૂલ-કોલેજની 100 વારની ત્રિજ્યામાં વેચાણ પર પ્રતિબધ

એમણે વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નિકોટિનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરવામાં આવી રહ્યો છે. આ બાબતે છેલ્લાં ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે ૧૦ હજાર પેઢીઓની તપાસ કરી આશરે ૧૧ લાખ રૂપિયો જેટલો દંડ વસૂલવામાં આવ્યો  છે.