શહેરના માર્ગો પર વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા કાઢી

અમદાવાદઃ દેશના 75મા આઝાદીની અમૃત મહોત્સવ પર ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 13 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. દેશવાસીઓને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર ત્રિરંગો ફરકાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

શહેરના માર્ગો, શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી કંપનીઓ અને રહેણાક વિસ્તારોમાં ઠેર-ઠેર તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના ભાગરૂપે રાજકીય પક્ષો અને શૈક્ષણિક સંસ્થાઓની તિરંગા યાત્રાઓ પણ દિવસ દરમિયાન જોવા મળી રહી છે.

બુધવારની સવારે ગુજરાત કોલેજથી પરિમલ ગાર્ડન, પંચવટી અને લો ગાર્ડન તરફના માર્ગ પર એક વિશાળ તિરંગા યાત્રા જોવા મળી હતી. આ તિરંગા યાત્રામાં ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ, એન. સી. સી કેડેટ્સ, એન. એસ. એસના કાર્યકર્તા, શહેર પોલીસના સ્ક્વોડ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. રાષ્ટ્રધ્વજ સાથેના વિદ્યાર્થીઓ, વેશભૂષા, દેશભક્તિ ગીતોથી સમગ્ર વાતાવરણ તિરંગામય બની ગયું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)