રાજ્ય સરકારની જનતાને ‘દિવાળી’ ભેટ: વેટમાં 10-ટકાનો ઘટાડો

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ થોડી સુસ્ત જણાય છે અને આપ પાર્ટી મતદારો પાસે આક્રમક ચૂંટણીપ્રચાર કરીને એક તક માગી રહી છે, સામે પક્ષે ભાજપ એ તક આપવાના જરાય મૂડમાં નથી લાગતો, જેથી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય એ પહેલાં ભાજપ રાજ્યની જનતાને આકર્ષવાના દરેક પગલાં લઈ રહ્યો છે. ભાજપ આ વખતે જરા પણ ચાન્સ લેવા નથી માગતો. ભાજપ દરેક વર્ગના મતદારોને યેનકેનપ્રકારેણ રીઝવવા માગે છે. સરકાર દ્વારા હવે CNG અને PNGના વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે.આ વિશે જાહેરાત કરતાં રાજ્યના મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નાગરિકો અને ગૃહિણીઓને રૂ. 1000 જેવી રાહત મળશે. એ સાથે જ વર્ષમાં બે સિલિન્ડ મફત આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ રૂ. 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે રૂ. 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં કે ખિસ્સા સુધી પહોંચી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના બે સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે. એ ઉપરાંત CNG વાહનધારકોને પણ સરકારે ખુશ કર્યાં છે. સરકારે CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. હવે CNGમાં વેટમાં ઘટાડો થવાથી ગ્રાહકોને છથી આઠ રૂપિયા જેટલો ફાયદો થશે. જ્યારે PNGમાં ગ્રાહકોને પાંચથી છ રૂપિયા જેટલો ફાયદો થશે. CNG અને PNGમાં રાહત આપવાથી સરકારને રૂ. 300 કરોડનો બોજો પડશે. તે ઉપરાંત LPGમાં પણ રાહતથી સરકારને હવે કુલ 1650 કરોડનો બોજો પડશે.