સેનાના જવાનોએ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’એ રક્તદાન કર્યું  

અમદાવાદઃ દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ મનાવવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને -WHOએ વર્ષ 2004થી લોકોને રક્ત આપીને નવું જીવનદાન કરતા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અને તેમનું મહત્વ વધારવા માટે આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી.

શહેરમાં ગોલ્ડન કતાર ડિવિઝન દ્વારા મિલિટરી હોસ્પિટલમાં 14 જૂને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ રોગચાળાને કારણે બ્વલડ બેન્કોમાં લોહીની તીવ્ર અછત વર્તાઈ રહી છે, ત્યારે આ અછતને દૂર કરવાના પ્રયાસરૂપે સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ, અમદાવાદના સહયોગથી ‘નેશન ફર્સ્ટ’ના સૂત્ર સાથે આર્મી આગળ આવી હતી અને સેનાના જવાનોએ અને તેમના પરિવાર દ્વારા સ્વેચ્છાએ 200 કરતાં વધુ બોટલ-યુનિટ લોહી એકત્ર કરવામાં આવ્યું હતું.

અમદાવાદની બીજે મેડિકલ કોલેજના ટ્રાન્સફ્યુજનના વડા ડો. નિધિએ ભારતીય સેનાનો આ પહેલ બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં સેના નાગરિક વહીવટી તંત્રની પડખે સૌથી આગળ ઊભી છે.