PM મોદીને હસ્તે 10 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાતનું ઉદઘાટન

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત શિખર સમિટ 10થી 12 જાન્યુઆરી રાજ્યના ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાવાની છે. એ આયોજન રોકાણકારોને ગુજરાત સાથે જોડાવા અને વિકાસ અને સમૃદ્ધિ માટે એક સોનેરી તક છે. વડા પ્રધાન મોદી વાઇબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિનું ઉદઘાટન 10 જાન્યુઆરીએ કરશે. આ મૂડીરોકાણની સમિટનું આયોજન મહત્ત્વનું છે, કેમ કે એ દેશના વિકાસ પર ભાર આપતાં પ્રધાન મંત્રીના વિકસિત ભારત @2047ના દ્રષ્ટિકોણને સુસંગત છે. વળી, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યને આદર્શ મૂડીરોકાણ સ્થળ તરીકે સ્થાન આપ્યું છે. ગુજરાત ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય –બંને રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ છે.

10મી વાઇબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનની થિમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ રાખવામાં આવી છે. આ વિષય ભવિષ્ય માટે રાજ્યની દ્રષ્ટિ અને મૂડીરોકાણ અને વિકાસની તકોના પ્રવેશદ્વાર તરીકેની ભૂમિકા દર્શાવે છે.

બીજી બાજુ, પ્રોએક્ટિવ પોલિસિઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડી રોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દુનિયાભરના મૂડી રોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે.’

આગામી 10 જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વડા પ્રધાનના હસ્તે પ્રારંભ થનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ અંતર્ગત ગુજરાત સરકારે નવી દિલ્હીમાં ડિપ્લોમેટ્સ મીટનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં દુનિયાના 119 જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાના પગલે ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત થયું છે.

તેમણે કહ્યું હતું કે પાછલા બે દાયકામાં ગુજરાતે 55 બિલિયન યુ.એસ. ડોલરની ક્યુમ્યુલેટિવ FDI મેળવ્યું છે. વર્લ્ડ ક્લાસ રોડ, રેલવે, પોર્ટ અને એરપોર્ટ કનેક્ટિવિટીને કારણે ગુજરાતની પહોંચ દેશમાં જ નહીં પરંતુ એશિયા, આફ્રિકા, મિડલ ઇસ્ટ અને યુરોપીય દેશોની બજારો સુધી છે. ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓમાંથી ૧૦૦ જેટલી કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે.