રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસનો પ્રસારઃ 20 દર્દીઓએ આંખ ગુમાવી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના રોગચાળાની સાથે હવે મ્યુકોરમાઇકોસિસ નામની ફંગસના જીવલેણ પ્રકોપ પ્રસરી રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસને ‘બ્લેક ફંગસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સામન્ય રીતે કોરોનાથી રિકવર થયેલા બચી ગયેલા લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. સુરતમાં છેલ્લા 20 દિવસમાં મ્યુકોરમાઇકોસિસના 100 કેસ આવ્યા છે, તેની સાથે જ કુલ 20 દર્દીઓને તેનાથી રોશની ગુમાવી છે. જેથી તંત્રની ચિંતા વધી ગઈ છે.

સુરતમાં કોરોનાની ગંભીર આડઅસર જોવા મળી છે. કોરોનામાં અપાતા સ્ટિરોઇડથી રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જતાં આંખ-નાક, મગજમાં ફંગસ થાય છે. ત્યારે એક દર્દીના પરિવારે આંખ કાઢવાની ના પાડતાં ઇન્ફેક્શન મગજમાં ફેલાતાં તેનુ મોત થયું હતું.

કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. સુરત શહેર સાથે ગ્રામ્યમાં પણ મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયો છે. ENT સ્પેશિયલિસ્ટ  ડો. રાકેશ પટેલે કહ્યું હતું કે  કોરોના રોગચાળામાં ગંભીર દર્દીઓને બચાવવા માટે સ્ટિરોઇડનો વધુપડતો ઉપયોગ મ્યુકોરમાઇકોસિસ માટે જવાબદાર છે. આ  ફંગસ દર્દીને સ્વસ્થ થયા પછી ધીમે-ધીમે તેને પોતાની પકડમાં લે છે અને જીવલેણ બને છે.

અમદાવાદમાં 30 દર્દી દાખલ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં ૩૦થી વધુ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર હેઠળ છે.