ગોધરા કેસમાં 11 દોષિતને ફાંસી સંભળાવનાર જજને અપાયું નવું પદ

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે 2002ના ગોધરા કેસમાં 11 દોષિતોને ફાંસીની સજા સંભળાવનારા જજને નિવૃત્ત થતાં જ નવું પદ આપ્યું છે. રુપાણી સરકારે જજ પી.આર.પટેલને લૉ ઓફિસરને મહત્વપૂર્ણ પદ આપ્યું છે. આ પહેલાં તેઓ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના રજિસ્ટ્રાર જનરલના પદે સેવાઓ આપી રહ્યાં હતાં. તેમને રિટાયરમેન્ટના દિવસે જ આ પદની જવાબદારી સોંપવામાં આવી.

પટેલે 1 જાન્યુઆરીથી રાજ્ય સરકારના કાયદા વિભાગ સાથે પોતાના નવા પદનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ જૂન 2017માં ઉચ્ચ ન્યાયાલયના રજિસ્ટ્રાર જનરલના પદથી રિટાયર થયા હતા. જો કે ત્યારબાદ તેમને 31 ડિસેમ્બર 2018 સુધીમાં બે વાર આ પદ પર યથાવત રાખવામાં આવ્યા. પટેલની નિયુક્તિ પર ગત વર્ષે 31 ડિસેમ્બરના રોજ જ સરકારના કાયદા વિભાગે એક આદેશ જાહેર કર્યો હતો.

કાયદા વિભાગના આદેશમાં કહેવાયું હતું કે ગુજરાત ઉચ્ચ ન્યાયાલય અને ઉચ્ચતમ ન્યાયાલયમાં ગુજરાત સરકાર વિરુદ્ધ મામલાઓની પેન્ડન્સી ઓછી કરવા અને અન્ય મામલાઓને જલદી પતાવવા માટે હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર જનરલના રુપમાં સેવા આપનારા પીઆર પટેલને કાયદા વિભાગમાં અનુબંધના આધાર પર વિશેષ અધિકારીના રુપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

જાહેર કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પટેલના રિટાયર થતાં સમયે તેમને જેટલો પગાર મળતો હતો તેટલો જ પગાર આ પદ પર પણ પ્રાપ્ત થશે. જો કે આમાં પેન્શનનો સમાવેશ નહીં થાય. તો આ સાથે જ આમાં કહેવાયું છે કે તેમને સરકાર દ્વારા સોંપવામાં આવેલી કોઈ અન્ય જવાબદારી પણ નિભાવવી પડશે. સરકારે પટેલની નિયુક્તિ એક વર્ષના અનુબંધના આધાર પર કરી છે.