વેલેન્ટાઇન-વીકમાં પ્રેમી યુગલોના આપઘાતની ઘટનામાં વધારો

અમદાવાદઃ દેશભરમાં યુવાનો આ વીક વેલેન્ટાઇન વીક તરીકે ઉજવણી કરી રહ્યા છે ત્યારે પ્રેમમાં મોહભંગ થતાં કે હતાશાને લઈને થઈને પ્રેમી યુગલો આપઘાત પણ કરી લેતા હાય છે. રાજકોટમાં બે એવી ઘટના સામે આવી છે, જ્યારે સુરતમાં પણ પીતરાઈ ભાઈ-બહેનેં પોતાનાં જીવન ટૂંકાવ્યાં છે.

રાજકોટમાં પ્રેમી યુગલે આપઘાત કરી લીધો છે. જયદીપ તબેલામાં દેખરેખનું કામ કરતો હતો તે અપરિણીત હતો. જ્યારે કાજલનાં થોડા સમય પહેલાં જ લગ્ન થયાની પોલીસને પ્રાથમિક માહિતી મળી હતી અને બીજા બનાવમાં સગીર યુગલે પૂલ પરથી ઝંપલાવી દીધું છે. પડધરીના નાની અમરેલી ગામની સીમમાં આવેલા ફાર્મહાઉસ પાસે ખુલ્લા પટમાં બાવળના ઝાડમાં એક યુવક અને યુવતીની લાશ ચૂંદડીના ફાંસામાં લટકતી હોવાની જાણ થતાં પડધરી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

બીજી ઘટનામાં રાજકોટ-મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં 17-17 વર્ષના સગીર-સગીરાએ બેડીના પૂલ પરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કરતાં બંને જણને ગંભીર સ્થિતિમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે સુરતમાં પીતરાઇ ભાઇ-બહેન  વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જે બાદ પરિવારે રાહ જોવાની કહી હતી, પરંતુ તેમની ધીરજ ખૂટી પડતાં બંને જણે એક જ હુકમાં  લટકીને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ બનાવની જાણ થતા સચીન જીઆઇડીસી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.