‘ડેમોક્રસી ડાયલોગ’માં મહાનુભાવોએ કરી સોશિઅલ મીડિયાની અસરની ચર્ચા

અમદાવાદભારતના યુવાનોમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે રિસ્પોસીબિલીટી ડીજીટલ (ReDi) નામના સોશ્યલ પ્લેટફોર્મ અને ભારત સરકારના રિસર્ચ ફાઉન્ડેશને ટ્વીટર ઈન્ડિયાના સહયોગથી ‘ડેમોક્રસી ડાયલોગ’,નું આયોજન કરવામાં આવ્યું હતું.

વિચાર પ્રેરક અને જકડી રાખે તેવી પેનલ ચર્ચાના વિષયોમાં ‘યુવાનો ઉપર સોશિયલ મિડીયાની અસર’ અને ‘ઈલેક્શન 2019ના એજન્ડા’નો સમાવેશ કરાયો હતો. આ સમારંભમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, ડીજીટલ માર્કેટીયર્સ, કોમ્યુનિકેટર્સ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ્સ સામેલ થયાં હતાં.

હાલમાં ભારતીય સમાજના તાણાંવાણાંને જોડવામાં સોશ્યલ મિડીયા મહત્વની ભૂમિકા બજાવીને ભૌગોલિક દ્રષ્ટિએ તથા વિવિધ પ્રકારની વિચારધારાને કારણે નોંખા રહેતા લોકોને એક જ પ્લેટફોર્મ પર લાવી છે. વધુમાં ટેકનોલોજીના રિફાઈનીંગ અને સોશિયલ મિડીયા આસાનીથી ઉપલબ્ધ થતાં ભારત સોશિયલ મિડીયાનો સૌથી વધુ ઉપયોગ ધરાવતો દેશ બન્યો છે.

આ સમારંભમાં વિવિધ ક્ષેત્રોના વ્યક્તિત્વો એક મંચ પર આવ્યા હતા, જેમાં કાનન ધ્રુવ (રિસર્ચ ફાઉન્ડેશન ગવર્નન્સ ઓફ ઈન્ડીયાના સ્થાપક), પંકજ શુક્લ (ભાજપ- ગુજરાતના આઈટી અને સોશ્યલ મિડીયા સેલના ઈન્ચાર્જ), શ્વેતા બ્રહ્મભટ્ટ(કોંગ્રેસના યુવા આગેવાન), આર જે હર્ષિલ, દેવાંશુ પંડિત (કટાક્ષ લેખક અને કટાર લેખક) વગેરેએ સોશ્યલ મિડીયા કઈ રીતે યુવા માનસમાં આકાર આપી રહ્યું છે તેની ચર્ચા કરી હતી.

સોશિયલ નેટવર્ક પ્રભાવક બની રહેવા ઉપરાંત ભારતનો રાજકીય લેન્ડસ્કેપ બદલી રહ્યું છે. અન્ય એક પેનલ ચર્ચામાં લોકસભા ચૂંટણી 2019 અંગે ચર્ચા થઈ હતી. જેમાં હર્ષ સંઘવી (ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય), અમીબેન યાજ્ઞિક (રાજ્યસભાના સાંસદ), સુનીલ પારેખ (કો-ચેર, ફીક્કી ગુજરાત અને અમદાવાદ ગ્લોબલ શેપર્સના ફાઉન્ડીંગ ક્યુરેટર) તથા ગુજરાતના વરિષ્ઠ પત્રકારો દીપલ ત્રિવેદી અને અજય ઉમટે આગામી ચૂંટણીઓમાં સોશિયલ મિડીયા કેવી ભૂમિકા ભજવશે તે અંગે અને ખાસ કરીને રાજકિય પક્ષે સોશ્યલ મિડીયાનો પ્રચાર ઝૂંબેશના મહત્વના સાધન તરીકે કઈ રીતે ઉપયોગ કરે છે તેની ચર્ચા કરી હતી.

આ પ્રસંગે ટ્વીટર ઈન્ડીયાના પબ્લિક પોલિસી વિભાગના હેડ- મહિમા કૌલે જણાવ્યું હતું કે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યારે ડિજિટલ ચર્ચાઓ અનિવાર્ય બની છે. દરરોજ આપણે દેશભરમાં સામાજિક મુદ્દાઓ અંગે રાજકીય ઉમેદવારો અને પત્રકારોને સીધા સાંભળવા અને તેમની સાથે જોડાવા માટે ટ્વીટરનો ઉપયોગ કરીએ છીએ. લોકો ધગશથી આ કામગીરીમાં જોડાય છે અને લોકશાહીની પ્રક્રિયામાં કઈ રીતે સામેલ થઈ શકાય તે અંગે તે શીખે છે. સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રિસ્પોસીબિલીટી ડિજિટલ (ReDi) સાથે મળીને આપણે #DemocracyDialogue મારફતે વધુ તંદુરસ્ત નાગરિક ચર્ચાઓને પ્રોત્સાહિત કરવા માટે કટિબદ્ધ છીએ.

આ પ્રસંગે વાત કરતાં ગુજરાત ભાજપના આઈટી અને સોશિયલ મિડીયા સેલના ઈનચાર્જ પંકજ શુક્લએ જણાવ્યું કે ” ટેકનોલોજીમાં પ્રગતિ થવાને કારણે દરેક વ્યક્તિ માહિતી મેળવવા તથા સાચી પરિસ્થિતિ અંગે જાણ મેળવવા  અલગ અલગ મિડીયાનો ઉપયોગ કરે છે. ટેકનોલોજી લોકો સાથે જોડે છે, પરંતુ તેનો વિવેકપૂર્વક ઉપયોગ થાય  અને અભિપ્રાય બાંધતાં પહેલાં કોઈ પણ ડેટા કે સમાચારની  અધિકૃતતા ચકાસાય તે  જરૂરી છે. સોશિયલ મિડીયાએ રાજકારણીઓને તે જે કાંઈ બોલે છે અને કરે છે તે બાબતે વધુ સભાન બનાવ્યા છે.

કટાક્ષ લેખક અને કોલમીસ્ટ દેવાંશુ પંડીતે જણાવ્યું કે “અગાઉના રાજકારણીઓએ રાજકારણનુ એક વિશિઠ ચિત્ર ઉભુ કર્યું હતું. કે જેના કારણે લોકો માનતા હતા તે રાજકારણમાં બંધ બેસી બેસી શકશે નહી અને તેમણે રાજકારણમાં પ્રવેશવાનુ ટાળવુ બહેતર લેખાશે. આમ છતાં, પરિસ્થિતિમાં બહેતર સુધારો આવ્યો છે. સોશિયલ મિડીયા લોકો માટે અન્યાય સામે તેમનો અવાજ ઉઠાવવાનુ અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનુ મોટુ માધ્યમ બન્યું છે.”

આ પ્રસંગે વાત કરતાં રાજ્યસભાનાં સાંસદ અમીબેન યાજ્નીકે જણાવ્યું કે ”  પ્રિયંકા ગાંધી એક યુવા મહિલા નેતા છે. અને તે કોંગ્રેસ પક્ષમાં નવી ઊર્જા પૂરી પાડી રહ્યાં છે અને 125 વર્ષ જૂના પક્ષ અને મહાત્મા ગાંધીના વિચારો વ્યક્ત કરી રહ્યાં છે. દુનિયામાં ઘણું પરિવર્તન આવ્યું છે. જ્યાં સુધી મહાગઠબંધનને સંબંધ છે, વ્યક્તિગત પક્ષે નક્કી કરવાનું રહેશે કે એક રાષ્ટ્ર તરીકે ભારત માટે શું મહત્વનું છે તે સમજીને નિર્ણય લેવો જોઈએ “