ગૃહપ્રધાન શાહે ત્રાગડમાં પબ્લિક પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ

અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે અમિત શાહે ત્રાગડમાં પબ્લિક પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ છે. તેમની સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે સભાને સંબોધન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લોકો માગે એ પહેલાં જ સરકારે વિકાસનાં કામો કર્યાં છે. આ પ્રસંગે ધારાસભ્યો, સાંસદો, ભાજપ અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં છે.ગૃહપ્રધાન દ્વારા ઔડાનાં રૂ. 1700 કરોડ રૂપિયાનાં વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી કોર્પોરેશન અને ઔડાનાં 1650 કરોડ રૂપિયાનાં વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં રૂ. 413.32 કરોડના 14 લોકાર્પણ અને રૂ. 1237.38 કરોડનાં 25 કામોનું ખાતમુહૂર્ત કરાવામાં આવશે. ગાંધીનગર લોકસભામાં ત્રાગડ ગામનું તળાવ, કોતરપુર વોટર વર્કસની મોટેરા સુધીની લાઇન, 18 આવાસ યોજનાના મકાનો વગેરેનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સરખેજ-ઓકાફ, જગતપુર, ભાડજ અને ઓગણજ તળાવનું ડેવલપમેન્ટ, આવાસ યોજનાનાં મકાનો, નવા એસટીપી, નવી ડ્રેનેજ લાઇન સહિતની વિવિધ કામોના ખાતમુહુર્ત કરવામાં આવશે. એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટી પાછળ મલાબાર કાઉન્ટી-3 પાસેના મેદાનમાં તેમની જાહેર સભા યોજવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે આજે 1500 કરોડથી વધારાના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેની માગણી પણ જનતાએ નથી કરી છતાં લોકો માગે એ પહેલાં કામ કરવાની પરંપરા અમારી છે. AMC અને ઔડાની 21 યોજનાની ખાતમુહૂર્ત અને 18નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીં G- 20નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર ભાઈના કાળમાં ચંદ્ર પર તિરંગો લહેરાયો છે.

G-20નું આયોજન જે ભારતે કર્યું તે આવનારા 25 વર્ષ માટે અન્ય દેશો માટે શીખવા જેવું છે. જ્યારે આંતરરષ્ટ્રીય સ્તરે વિષમતા હોય ત્યારે રોજના ડેકલેરેશન પાસ કરાવવા મોટું કામ છે. નરેન્દ્ર મોદીએ મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં 33 ટકા રિઝર્વેશન અપાવ્યું છે. નીતિ નિર્માણ માટે મહિલાઓનું યોગદાન મહત્વનું રહ્યું છે. નવી સંસદમાં કોઈ વિઘ્ન ન આવે એટલે ગણેશ ચોથે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં પહેલું બિલ નારી શક્તિ માટે મહિલા આરક્ષણનું લાવવામાં આવ્યું હતું.