ગુજરાતીઓ હવે નહીં જઈ શકે પોલો ફોરેસ્ટ!

વરસાદની મોસમમાં અમદાવાદીઓ નજીકના સ્થળે વીકએન્ડનો પ્લાન બનાવતા હોય છે. તો જો તમે પણ પોલો ફોરેસ્ટ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો થોડી રાહ જોવી પડશે.

હકીકતમાં સાબરાકાંઠાના પોલો ફોરેસ્ટ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ માટે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. 3 થી 18 સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે પોલો ફોરેસ્ટ બંધ રહેશે. ઉપરવાસના વરસાદને લઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેમાં પાણી જંગલ વિસ્તારમાંથી હરણાવ નદીમાં જતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી હરણાવ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમ મારફતે પાણી છોડાઈ રહ્યું છે. પોલો વિસ્તારમાં અવર જવર કરતા રાહદારી તેમજ પર્યટકો માટે આ રસ્તો પ્રતિબંધિત કરાયો છે. જેમાં ડેમનું પાણી પોલોના જંગલ વિસ્તારમાં થઈને હરણાવ નદીમાં જતુ હોવાથી વધુ પાણી છોડવાની જરૂરિયાત જણાય તો સાવચેતીના પગલા માટે પ્રતિબંધ કરાયો છે.

નોંધનીય છે કે 3 સપ્ટેમ્બર 2024થી 18 સપ્ટેમ્બર 2024 સુધી 15 દિવસ સુધી જાહેરનામું અમલમાં રહેશે. જેમાં હુકમનો ભંગ કરનારને BNS-2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. જો કે આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ અને કમર્ચારીઓને લાગુ પડશે નહિ.