રાજકોટમાં જીએસટી વિભાગનો 8 પેઢીઓ પર સપાટો, પકડી કરચોરી

રાજકોટઃ રાજકોટમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. જીએસટી વિભાગ દ્વારા બિલ વગર લે-વેચ કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 3 ટ્રાન્સપોર્ટરો સહિત 8 પેઢીમાંથી કુલ 50 લાખ રુપિયાની કરચોરી પકડાઈ છે. જે જે વ્યાપારીઓ દ્વારા અત્યારસુધી કરચોરી કરવામાં આવી છે તે તમામ વ્યાપારીઓને કરચોરી ભરપાઈ કરવા માટે નોટિસ આપવામાં આવી છે.

બે દિવસ પૂર્વે ઇવે-બિલ વગર માલની હેરફેર કરતા 6 ટ્રકો પકડી કામગીરી કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી જીએસટી વિભાગની પ્રિવેન્ટીઝ વિંગ દ્વારા અલગ અલગ સ્થળે ચેકિંગ હાથ ધરવામા આવ્યું છે. જેમાં રાજકોટની એક એકમ પાસે મોટી ટેક્સ ચોરી કરી હોવાનુ ખુલ્યું હતું. શ્રી સ્વામિનારયણ ફૂડમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા તેમાં પાપડના નામે ફ્રાયમ્સ વેચતા હોવાનું કૌભાંડ ખુલ્યું હતું. આ કંપની 2011થી કાર્યરત છે. શ્રી હરિના નામની બ્રાન્ડથી નમકિનની અલગ અલગ વસ્તુઓ બનાવી રહી છે.

2017થી એવું આવ્યું હતુ કે જે પાપડ બનાવતું હશે તેઓને જીએસટીમાંથી મુક્ત રખાશે. આ કંપનીએ હિસાબી ચોપડે પાપડ બતાવી ફ્રાયમ્સ બનાવતી હતી અને સૌરાષ્ટ્રભરમાં સપ્લાય કરતી હતી. જે વાત જીએસટી વિંગને ધ્યાને આવતા કંપનીને 5 કરોડ જેવી રકમ ભરવા આદેશ કર્યો છે નહીં તો પેનલ્ટી સહિત પ્લાન્ટ સીલ કરવાની કડક કાર્યવાહી કરવામા આવશે તેવા સંકેતો પણ આપ્યા હતા.