ગુજરાતની સ્થાપનાથી લઇને હજુ સુધી 7574 કરોડની વેરાવસૂલી બાકી

ગાંધીનગર- ગુજરાત રાજ્યના સ્થાપનાકાળથી આજ સુધીમાં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૯૧૫ કેસોમાં રૂા.૭૫૭૪ કરોડની વેરા વસૂલાત બાકી હોવાનું નાણાંપ્રધાન નિતીન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું. તે માટેના કારણોમાં વિવિધ અદાલતોના મનાઇ હુકમ, કંપની ફડચામાં જવી કે નાદાર થવી જેવા કારણો જવાબદાર ગણાવાયાં છે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ જિલ્લામાં સરકાર દ્વારા રૂ.૪૩૩૦ કરોડની વેરાની વસૂલાત કરવામાં આવી છે. પ્રશ્નોતરીકાળ દરમિયાન અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં વેટ તથા જી.એસ.ટી. વસૂલવાનો બાકી હોય તેવા ઔદ્યોગિક ગૃહો સંદર્ભિત પ્રશ્નનો જવાબ આપતાં નાણાંપ્રધાન નિતીન પટેલે જણાવ્યુ હતું કે, વર્ષ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારથી આજ સુધીમાં અમદાવાદ જિલ્લામાં ૧૯૧૫ કેસોમાં રૂ.૭૫૭૪.૮૧ કરોડની વેરા વસૂલાત બાકી છે. જેમાંથી વિવિધ કાયદાકીય કાર્યવાહી-અદાલતી કાર્યવાહી તેમજ મનાઇહુકમ સંદર્ભે  ૪૩ ટકા જેટલી એટલે કે, રૂ.૩૨૬૫ કરોડની વેરા વસૂલાત બાકી છે. રૂ. ૪૨૮ કરોડ જેટલી વસૂલાત કંપનીઓ ફડચામાં જવાથી અને રૂ.૨૧૮૮ કરોડની વસુલાત કંપનીઓ નાદાર થવાથી બાકી છે.

ધારાસભ્ય જગદીશ પંચાલના પૂરક પ્રશ્નનો જવાબ આપતા પટેલે જણાવ્યુ હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ જિલ્લામાંથી રૂ.૪૩૨૯.૭૭ કરોડની વેરા વસૂલાત કરાઇ છે. જ્યારે મહેસાણા જિલ્લામાંથી રૂા.૧૩૩.૧૮ કરોડની વેરા વસૂલાત કરાઇ છે. જે વેપારીને અપીલમાં જવું હોય તો બાકી વેરાની ૨૦ ટકા રકમ ભરી હોય તો જ અપીલ થઇ શકે છે. ઉપરાંત જે ટેક્સ ચોરી, છેતરપિંડી કે અન્ય ગુનાખોરી કરનારા વેપારી સામે સરકાર ફોજદારી કેસ પણ નોંધાવે છે.

રાજ્ય સરકાર દ્વારા બાકી ટેક્સ વસૂલાત માટે કંપનીઓની મિલકત ટાંચમાં લેવી, ગોડાઉનના માલ જપ્તી, થર્ડ પાર્ટી રીકવરી ઉપરાંત રેવન્યુ રાહે રીકવરી પણ કરવા જેવા કડક પગલાં પણ ભરવામાં આવે છે.