સરકારની ધોરણ 9-11ની સ્કૂલો ખોલવા વિશે વિચારણા

અમદાવાદઃ રાજ્યમાં જેમ-જેમ કોરોનાનો કેર ઘટી રહ્યો છે, તેમ-તેમ શૈક્ષણિક કાર્યમાં વેગ આવી રહ્યો છે. 11 જાન્યુઆરીથી ધોરણ 10-12 માટે શાળાઓના ક્લાસ રૂમ શરૂ થયા બાદ સરકાર ધોરણ 9-11 માટે પણ સ્કૂલો પુનઃ ખોલવા વિચારણા કરી રહી છે. ધોરણ 9-11 માટે પણ સ્કૂલો ખોલવા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે આ વિશેનો નિર્ણય કેબિનેટ મિટિંગમાં લેવામાં આવશે.આ ઉપરાંત ટ્યુશન ક્લાસ માટે મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે. 

તેમણે જણાવ્યું છે કે ધોરણ  9 -11ની શાળા શરૂ કરવા વિચારણા ચાલી રહી છે, જેની  27 જાન્યુઆરીએ મળનારી કેબિનેટ મીટિંગમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાળામાં સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે.

તેમણે કહ્યું હતું કે  ધોરણ 10-12ના વર્ગો શરૂ કર્યા બાદ વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકો તેમ જ અધિકારીઓ સ્તરેથી ફીડબેક માગવામાં આવ્યા હતા. શિક્ષણપ્રધાન, મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સાથે વિચારવિમર્શ કર્યા બાદ હવે આગામી સમયમાં ધો. 9-11 માટે નિર્ણય લેવામાં આવશે.

શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓએ પણ ફેબ્રુઆરી મહિનાના આરંભથી ધોરણ 9-11 માટે શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. જેથી 25 જાન્યુઆરીને સોમવાર પછી અથવા તો પહેલી ફ્રેબુઆરીને સોમવારથી ધોરણ 9-11 માટે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં શકે છે. આ ઉપરાંત આ વખતે ઉનાળુ વેકેશનને પણ ટૂંકાવી દેવામાં આવે એવી શક્યતા છે.