અમદાવાદઃ સત્તાની લડાઈના કારણે વણીકર ભવનમાં તોડફોડ,તોગડીયા બગડ્યાં…

અમદાવાદઃ પાલડી સ્થિત વણીકર ભવન મામલે આજે પ્રવીણ તોગડિયાની સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સામસામે આવી ગયાં હતાં. પાલડીમાં આવેલા વણીકર ભવનનો કબજો અત્યારે તોગડીયાની કરી લીધો છે તેવો આરોપ વીએચપી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. વણીકર ભવનમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જેને પગલે આવેલી પોલિસે મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.

મહત્વનું છે કે આજે પ્રવીણ તોગડીયા તેમની નવી પાર્ટીની જાહેરાત કરવાના હતા અને તે જ સમયે અમદાવાદના વણીકર ભવનમાં તોડફોડ કરવામાં આવી. ત્યારે આ સમગ્ર મામલે સત્તાની લડાઈ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે પ્રવીણ તોગડીયા થોડા મહિના પહેલા જ વીએચપીથી અલગ થયાં હતાં અને તેમણે પોતાની નવી સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવી હતી.

વણીકર ભવન અમદાવાદના પાલડી-મહાલક્ષ્મી વિસ્તારમાં સ્થિત છે અને વિશ્વ હિન્દુ પરિષદ પાસે કોર્ટના હૂકમથી કબજો હોવાનું તોગડીયાએ એક વિડીયો સંદેશમાં જણાવ્યું હતું. આજે હું બપોરે દિલ્હીમાં જ્યારે હું નવો રાજકીય પક્ષ રચી રહ્યો છું ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે પોલીસનો દૂરપયોગ કરીને અમદાવાદમાં આવેલા વણીકર ભવનનો કબજો કર્યો છે. પોલિસે મોદીજીના ઈશારે કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.તેમણે કહ્યું કે પોલિસને કોઇપણ હસ્તક્ષેપ કરવાનો કોઇ અધિકાર નથી. ત્યારે ઉપરની રાજનીતિ અને મોદીજીના ઇશારે કોઇની સૂચનાના આધારે આ રીતે પોલીસે આવી કાયદાનું ઉલ્લંધન કરી અને કબજો લીધો, તાળા તોડ્યાં અંદર કઇ કઇ વસ્તુની લૂંટ થઇ તે ખબર નથી. આ કોર્ટનું અપમાન છે. હું માગણી કરૂં છું કે તરત જ પોલીસ વણીકર ભવન ખાલી કરે. આ અન્યાય છે. ડો. પ્રવીણ તોગડિયાનો જે અવાજ કરોડો લોકો માટેનો છે તે દબાવવાનો પ્રયાસ છે. સરકાર ડકેતીનું કામ ન કરે.

વીએચપીનાં કાર્યકર્તાઓએ પોલીસને ફરિયાદ કરી હતી કે અહીં પ્રવીણ તોગડિયાનાં કાર્યકર્તાઓ અહીં રાજનૈતિક કામ કરી રહ્યાં છે. જેના કારણે હાલ પોલીસ કાફલો ભવનમાં ખડકી દેવામાં આવ્યો છે.
વીએચપી ટ્ર્સ્ટીએ આ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, ‘અમારા ટ્રસ્ટમાં એક કાયદો છે કે તમે તેના સ્થાનમાં કોઇ રાજનૈતિક ગતિવિધિ ન કરી શકો. પરંતુ અહીં પ્રવીણ તોગડિયાનાં કાર્યકર્તાઓ રહે છે જેઓ રાજનૈતિક કામ કરી રહ્યાં છે. જેથી અમારી માગણી છે કે તેઓ આ ભવન છોડી દે અને અમને અહીં અંદર આવવા દે.