રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે પદભાર સંભાળ્યો

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ તરીકે ૧૯૮૬ બેચના પંકજકુમારે આજે મુખ્ય સચિવ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે રાજ્યના વયનિવૃત્ત થતા મુખ્ય સચિવ અનિલ મુકિમનો વિદાય સમારંભ પણ યોજાયો હતો. પંકજકુમારે અનિલ મુકિમને નિવૃત્ત જીવન માટેની શુભેચ્છાઓ આપી હતી.

રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ મુખ્ય સચિવ પંકજકુમારને મહત્ત્વની જવાબદારી સોંપી છે તેઓ ખૂબ જ નિષ્ઠાથી નિભાવશે અને તેમના વહીવટી અનુભવ થકી ગુજરાત વધુ ને વધુ પ્રગતિ કરશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.  નિવૃત્ત થતા મુખ્ય સચિવ અનિલ મુકિમે પંકજકુમારને શુભેચ્છા આપીને ઉપસ્થિત અધિકારી-કર્મચારીઓના સહયોગ માટે સૌનો આભાર માન્યો હતો.

બિહારના પટનાના વતની પંકજકુમાર ૧૯૮૬થી ભારતીય સનદી અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેમણે IIT-કાનપુરથી સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે બી.ટેકનો અભ્યાસ કર્યો છે. તેમણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કલેક્ટર તરીકે સેવાઓ આપી છે. તેમણે રાજ્યમાં પૂર, વાવાઝોડા, દુષ્કાળ અને કોરોનાના કપરા કાળમા પણ મહત્ત્વની જવાબદારીઓ ઉપાડીને અનેક જનહિતલક્ષી કાર્યો કર્યાં છે. આ અગાઉ તેમણે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ઉમદા સેવાઓ આપી છે અને અનેક જાહેર સેવાઓ ઓનલાઇન કાર્યરત કરી છે અને હાલ તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપી રહ્યા છે. આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ એ. કે. રાકેશે સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા.