શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુર પધરામણીના 125 વર્ષની ભવ્ય ઉજવણી..

ગુડી પાડવાના પવિત્ર દિવસે ભારતના મહાન સંત, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીની ધરમપુરમાં પધરામણીને 125 વર્ષ થયા એ પ્રસંગને ઉજવતાં ધરમપુરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું.

ભગવાન મહાવીર અને શ્રીમદ્ રાજચંદ્રજીના રથથી  શોભાયમાન આ શોભાયાત્રામાં ગુરૂદેવ રાકેશજી પણ એક રથમાં બિરાજમાન હતા. ભગવાનના આગમનની છડી પોકારતાં ઢોલ નગારાં સાથે હાથી, ઘોડા, ઊંટ, મ્યુઝિક બેન્ડ સાથે માનવ મહેરામણ ઉમટ્યો હતો. સ્ત્રીઓ માથા પર કળશ લઈને, શ્રીમદ્ રાજચંદ્રજી લિખિત વચનામૃતજીનું પવિત્ર પુસ્તક લઈને પોતાનો અહોભાવ દર્શાવતાં ચાલી રહી હતી. ધરમપુરની જે શેરીઓમાંથી આ શોભાયાત્રા પસાર થઇ રહી હતી ત્યાં ત્યાં નગરજનો દર્શન સ્વાગત કરી રહ્યા હતાં.  સ્થાનિક સંગઠનો, મંડળો પણ ગુરૂદેવનું બહુમાન કરી રહ્યા હતા. અબાલવૃદ્ધ સહુ કોઈ અત્યંત ધર્મોલ્લાસપૂર્વક નાચતાં ગાતાં ધરમપુરના માર્ગો પર ઉત્સવનું વાતાવરણ  સર્જી રહ્યાં હતાં. આ મંગલ પ્રસંગે સમગ્ર ધરમપુરના કતલખાના બંધ રાખવામાં આવ્યા હતાં.

ઉચ્ચ આત્મદશાવાન શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૦૦માં ગુડી પડવાના શુભ દિને ધરમપુરમાં પધાર્યા હતા અને ૩૫ દિવસ અહીં  રહ્યા હતા. ધરમપુરની જે મોહનગઢ ટેકરી પર તેઓએ સાધના કરી હતી, આજે ત્યાં જ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે, જે તેમના પરમ ભક્ત ગુરૂદેવ રાકેશજી સંસ્થાપિત શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું આંતરરાષ્ટ્રીય મુખ્યમથક છે. ગુરુદેવની પ્રેરણાથી આ પવિત્ર અવસરે વિશ્વભરમાંથી આવેલ હજારો ભાવિકોએ આશ્રમમાં શ્રીમદ્ રાજચંદ્રજી પધરામણી અષ્ટાહ્નિકા મહોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી. ગુરુદેવના સત્સંગ, ભક્તિ કાર્યક્રમો, ધ્યાન પ્રયોગ, શ્રીમદ્જી જે સ્મશાનમાં સાધના કરતાં હતાં ત્યાં જાપ વગેરે અનેકવિધ અનુષ્ઠાનો દ્વારા ભક્તજનોએ શ્રીમદ્જીને સ્મરણાંજલિ અર્પી હતી.

આશ્રમમાં આ પ્રસંગને ઉજવવા અન્ય અનેક સંતો પણ પધાર્યા હતાં. આ શુભ અવસરે આશ્રમમાં 450 તેમ જ ધરમપુર નગરમાં 70થી વધુ શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજી તથા ચિત્રપટની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ઉજવણીઓ નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રાના અંતે આશ્રમમાં એક દિવ્ય સંગીતમઢયા કાર્યક્રમ દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીની પધરામણીને લોકોએ અત્યંત ધર્મોલ્લાસથી વધાવી લીધી હતી. અને સાંજે ભક્તોએ રાસ ગરબા રમી પુલક મનાવ્યો હતો.

આ પવિત્ર અવસરના નિમિત્તે ગુરુદેવ રાકેશજીએ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ખાસ ધરમપુરવાસીઓને સત્સંગનો લાભ આપ્યો હતો, જેનાથી લોકોને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા મળી હતી. ધરમપુરના લેડી વિલ્સન મ્યુઝિયમમાં શ્રીમદ્ રાજચંદ્રજીના ધરમપુર સાથેના સંબંધ  પર એક પ્રદર્શની શરુ કરવામાં આવી હતી.

આ પાવન પ્રસંગની મુખ્ય વિશેષતા એ પણ રહી હતી કે  શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં સ્થાપિત શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો મહામસ્તકાભિષે સહુ કોઈ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ વાત વાયુવેગે ફેલાતાં વિશ્વભરમાંથી લોકો આશ્રમમાં આવ્યા હતાં અને 50,000થી વધુ મહામસ્તકાભિષેક થયા હતા. 13મી એપ્રિલ સુધી આ લાભ સર્વ કોઈ લઇ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અવસરે ધરમપુર નગરવાસીઓ માટે ૩૫ દિવસ સુધી અનેક સેવાકાર્યો અને વિવિધ ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આનંદોત્સવનો શુભારંભ સંપૂર્ણપણે ફ્રી મેડિકલ કેમ્પ અને ગીતા રબારીના લોકડાયરાથી થયો હતો. ત્યારબાદ  અનેકવિધ કાર્યક્રમો જેમ કે સામાજિક નાટક, ‘ધરમપુર ગૉટ ટૅલેન્ટ’ સ્પર્ધા, પુરુષો અને મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ, આંતર-ગ્રામીણ રમતગમતની સ્પર્ધાઓ, મહિલાઓ માટે સ્પર્ધાઓ, બાળકો માટે આનંદમેળો, મહિલા દિવસની ઉજવણી, વલસાડ જિલ્લાની અનેક શાળાઓમાં ૬ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ માટે શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનદર્શન પર આધારિત ક્વિઝ, શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનચરિત્ર વર્ણવતી રાજ કથા, આંગણવાડીઓનું નવીનીકરણ તથા ત્યાં બાળકો માટે મનોરંજન અને ભેટ,  ધરમપુર અને તેની આસપાસના આંતરિયાળ ગામોમાં શિક્ષણ, આરોગ્ય તથા પ્રાણીસેવાના વિવિધ કાર્યક્રમો યોજાયા  હતા. વિજેતાઓને પુરસ્કારો તેમ જ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. આ શુભ નિમિત્તે અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવી હતી.