રેસક્યૂ ઓપરેશન અને રાહત કામગીરીમાં ભાજપ સરકાર નબળીઃ કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

ભાવનગર–  સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ નિહાળીને અસરગ્રસ્તોને મદદ કરવાના હેતુથી ગુજરાત કોંગ્રેસ દ્વારા અસરગ્ર્સત વિસ્તારોની મુલાકાત યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સબિત ભાવનગરના કોંગ્રેસી ધારાસભ્યો સહિત સ્થાનિક આગેવાનો દ્વારા આ મુલાકાત યોજાઈ હતી.ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા સ્થાનિક આગેવાનો અતિવૃષ્ટિના કારણે સ્લેબ તૂટવાથી મૃત્યુ પામેલ સ્વ. યુ. એન. માંડવીયાના પરિવારજનોને સાંત્વના પાઠવી એ જ ગામના અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ ૯ જેટલા બાળકોના પરિવારજનોની મુલાકાત લઈ ખબરઅંતર પૂછી ત્યાંથી ભાદરોડ-મફતપુરા ખાતે અસરગ્રસ્તો અને જરૂરિયાતમંદ કુદરતી આફતનો ભોગ બનેલા પરિવારજનોને કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયાર કરેલ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વાઘનગર, કતપર ગામોના અસરગ્રસ્ત પરિવારો અને ગ્રામજનોની મુલાકાત લઈ તેઓની તકલીફો – લાગણીઓનો ચિતાર મેળવીને તેઓના દુઃખમાં સહભાગીદાર બન્યાં હતા. આ મુલાકાત બાદ ચાવડાએ જણાવ્યું કે અતિવૃષ્ટિમાં અસરગ્રસ્તોને મદદ કરવા રેસક્યૂ ઓપરેશન અને રાહત કામગીરીમાં ભાજપ સરકાર નબળી સાબિત થઈ છે. અતિવૃષ્ટિને કારણે હજારો હેક્ટર ખેતી લાયક જમીનનું ધોવાણ થયું છે. તેવા સમયે સરકારે ખેડૂતોના હિતમાં વળતર તાત્કાલિક ચુકવવું જોઈએ. જે વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા નાગરિકો-પરિવારને તાત્કાલિક અસરથી યોગ્ય સલામત જગ્યાએ ખસેડવામાં આવે અને તાકીદે રાહત સામગ્રી પહોંચાડવામાં આવે. અતિવૃષ્ટીમાં મુકાયેલા અને ફસાયેલા નાગરિકોને માનવીય અભિગમથી મદદ કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા અસરગ્રસ્તોને સહાય કરવા માટે તાકીદે વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજકોટ, સૂરત તેમ જ અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યાં છે.