અમદાવાદ સ્ટેશન પર વારાફરતી બંધ થશે પ્લેટફોર્મ, જાણો કારણ..

જો તમે રેલવેમાં મુસાફરી માટે ટિકિટ બુક કરાવવા જઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે જ છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કારણે 15 નવેમ્બરથી પ્લેટફોર્મ નંબર 1 થી 9 ચાર તબક્કામાં બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેના કારણે રેલવે વિભાગે પ્લેટફોર્મને ચાર તબક્કામાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી ટ્રેનોને નજીકના અન્ય રેલવે સ્ટેશને ખસેડવામાં આવશે. વર્તમાન સમયમાં સાબરમતી અને ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઘણી ટ્રેનો દોડી રહી છે, જેને સાબરમતી અસરવા અને વટવા સ્ટેશને ખસેડવાની તૈયારી કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે આ સાથે જ મુંબઈ સહિતની 28 ટ્રેનોને મણીનગર અને વટવા શિફ્ટ કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફની ટ્રેનને ગાંધીનગર અને સાબરમતી રેલવે સ્ટેશને ખસેડવામાં આવી છે. આ સાથે અન્ય ટ્રેનો જેના સ્ટોપેજ કાલુપર રેલવે સ્ટેશન છે એને પણ ઘટાડવામાં આવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે પ્લેટફોર્મ નંબર 1 અને 2 15મેથી 12 ઓગસ્ટ 2025 સુધી બંધ રહેશે. એ જ રીતે 3 અને 4 નંબરના પ્લેટફોર્મ 12 ઓગસ્ટથી 10 નવેમ્બર 2025 સુધી બંધ રહેશે. જયારે 5 અને 6 નંબરના પ્લેટફોર્મ 15 ફેબ્રુઆરીથી 15મી મે સુધી અને 7, 8, 9 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. મુસાફરો આ દરમિયાન અન્ય જગ્યાએથી પોતાની રાબેતા મુજબની મુસાફરી કરી શકે છે.